રાજકોટનાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ

ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાનાં ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા સહિતનાં તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. જેમાં ધોરાજી તાલુકાનો કાર્યક્રમ ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ધોરાજી ખાતે, જેતપુર તાલુકાનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમાજ, થાણા ગાલોણ ખાતે, ઉપલેટા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે, જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ એ.પી.એમ.સી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પનું આયોજન, સેવાસેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા આપવામાં આવી હતી.

જેતપુર તાલુકાના કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક ડો.સી.એ.બાબરીયાએ શ્રી અન્ન વિશે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો રાજુભાઈ પટોળીયા અને રોહિતભાઈ ખુંટએ પોતાનાં અનુભવો રજૂ કર્યા હતા તથા અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા. FPO ની કામગીરી અંગે ગોકળભાઈ બુટાણીએ ખેડુતોને માર્ગદર્શિત કર્યા હતા. ખેતી ખર્ચના ઘટાડા માટે ઈન્પુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનીક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક ડો.એસ.વી.ઉંધાડ દ્વારા વક્તવ્ય અને પ્રશ્નોતરી કરવામાં આવી હતી. બાગાયત પાકોમાં નવીનતમ ટેક્નોલોજી અંગે બાગાયતી નિષ્ણાંત/કૃષિ યુનિવર્સીટીના ખેતી અધિકારી એ.કે. વાઘેલાએ માર્ગદર્શન આપ્યું હતું. સહકાર વિભાગના ૨૦ મુદા કાર્યક્રમ કે.બી.ઉંડવીયાએ રજૂ કર્યો હતો. મહાનુભાવોના હસ્તે યોજનાના ચેક/વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ ખેતી નિયામક(વિ.), રાજકોટ વી.પી. કોરાટે કાર્યક્રમની રૂપરેખા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેતપુર તાલકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયાએ આભાર વિધિ કરી હતી. ધોરાજી તાલુકાના કાર્યક્રમમાં વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં પ્રાધ્યાપક ડો.સી.એમ. ભાલિયાએ શ્રી અન્ન વિશે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ગોપાલભાઈ નારિયાએ પોતાનાં અનુભવો રજૂ કર્યા હતા તથા અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા. FPO ની કામગીરી અંગે કેતનભાઈએ ખેડુતોને માર્ગદર્શિત કર્યા હતા. ખેતી ખર્ચના ઘટાડા માટે ઈન્પુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનીક કાર્બનના વધારા અંગે જમીન વિજ્ઞાન અને કૃષિ, રસાયણશાસ્ત્ર વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. એલ.સી. વેકરીયા દ્વારા વક્તવ્ય અને પ્રશ્નોતરી કરવામાં આવી હતી. પાના નં. ૨ પર પાના નં. ૨ બાગાયત પાકોમાં નવીનતમ ટેક્નોલોજી અંગે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં ખેતીવાડી મદદનીશ વી.આર. માંગરોલીયાએ માર્ગદર્શન આપ્યું હતું.

સહકાર વિભાગના ૨૦ મુદા કાર્યક્રમ જુ. ક્લાર્ક એન.એ. સોલંકીએ રજૂ કર્યો હતો. મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર-ખેડૂતનું સન્માન યોજનાના ચેક/વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી એ.આર.પટેલ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ધોરાજી તાલકા વિકાસ અધિકારી આર.વી.ગોહિલએ આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના રવિ મહોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં ખેડુતો તથા ઉપસ્થિત સર્વે નિહાળ્યું હતું. મહોત્સવના બીજા દિવસે પણ ખેડૂતો માટે પ્રદર્શન ખુલ્લું રાખવામાં આવશે તથા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત પણ ખેડુતો દ્વારા કરવામાં આવશે. દરેક તાલુકાનાં ખેડુતોને આ મહોત્સવનો લાભ લેવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment