હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવે દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડવાના હેતુથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શૃંખલામાં, આજરોજ કલેક્ટરએ માણસા તાલુકાના રાજપુરા ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી.
કલેક્ટરએ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ વહીવટી દફતરોની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
ઉપરાંત આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત ગ્રામજનો સાથે કલેક્ટરએ સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં ગામમાં ઉપલબ્ધ શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા જેવી પાયાની સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા દરેક નાગરિકને મળી રહે, તે માટે તંત્રની સજ્જતા અને વ્યવસ્થાઓની રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે, “જન જનની ભાગીદારી એ જ વિકસિત ભારતની સંકલ્પનાનો મૂળ પાયો છે.” નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ વહીવટી તંત્રની પ્રાથમિકતા છે. આવી આકસ્મિક મુલાકાતો દ્વારા સ્થાનિક પ્રશ્નોને સમજી તેનો ત્વરિત નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ગ્રામજનોએ પણ કલેક્ટરની આ પહેલને આવકારી હતી. અને પોતાની કાળજી લેતા કલેકટરશ્રી સમક્ષ સીધી રજૂઆત કરવાની તક મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો.
