સન સ્ટ્રોક (લૂ) થી બચવાના આરોગ્યલક્ષી સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે.

માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે.

હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. આખુ શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ.અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું, અને વારંવાર ઠંડુ પાણી પીવું, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુ-શરબત પીવું, ગરમીમાં બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.

લીંબુ-શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો તેમજ વાસી ખોરાક, બરફનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગમાં દૂધ-માવાની આઈટમ ખાવી નહીં.

ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન કરવાનું ટાળવું. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.

ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવુ, અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું. મરઘા ઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ. આટલા ઉપાયો કરવાથી લૂથી બચી શકાશે

Related posts

Leave a Comment