જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ?

(1) સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચો.
(2) પુરતું પાણી પીવું જોઈએ. તેમજ ORS લિકવીડ, ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ, કાચી કેરી, લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે.
(3) હળવા વજનના, હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
(4) શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું. તેમજ તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. તમારા માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો.
(5) તમારા ઘરને ઠંડુ રાખો. ઘરમાં પડદા, શટર કે સનશેડનો ઉપયોગ કરો અને રાત્રિના સમય દરમિયાન બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
(6) હીટ સ્ટ્રોક, હીટ રેશ અથવા હીટ કેમ્પ જેમ કે નબળાઈ, ચક્કર આવવા જેવા સંકેતોને તાત્કાલિક ઓળખો અને તેની તુરંત જ સારવાર કરાવવી જોઇએ.
(7) માથાનો દુ:ખાવો થવો, ઉબકા ઉલટી, પરસેવો થવો, બેભાન થઈ જવું અથવા તમે બીમાર છો, તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.
(8) પ્રાણીઓને છાંયડામાં રાખો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો.
(9) સગર્ભા કામદારો અને નબળું સ્વાસ્થ્ય ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું જોઈએ.

હીટવેવ દરમિયાન શું ના કરવું જોઈએ?

(1) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.
(2) ઘાટા રંગના, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો.
(3) જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે ભારે પરિશ્રમવાળી પ્રવૃતિઓ ટાળવી જોઈએ.
(4) બપોર દરમિયાન 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો.
(5) ખુલ્લા પગે બહાર અવર જવર ના કરવી જોઈએ.
(6) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
(7) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં. કારણકે તેઓ હીટવેવથી પ્રભાવિત થઈ શકે છે.
(8) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.
(9) ઉચ્ચ પ્રોટીન ધરાવતો ખોરાક ટાળો અને વાસી ખોરાકનું સેવન ના કરવું જોઈએ.
(10) હાલમાં ઉનાળાની ઋતુમાં હીટવેવથી બચવા માટે સમગ્ર જામનગર જિલ્લાના નાગરિકો અત્રે જણાવ્યા અનુસાર જાગૃતિના પગલાં લઈ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ બાબતે કોઈપણ મુશ્કેલી જણાય તો ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, જામનગરના સંપર્ક નંબર 0288-2553404 અને ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર-1077 પર સંપર્ક સાધી શકાશે. સર્વે નાગરિકોને આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment