જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની તમામ જૂની નંબર સિરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.19/04/2024 થી 21/04/2024 ના બપોરના 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.21/04/2024 થી 23/04/2024 ના બપોરના 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.23/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.

ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઈટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-07 ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ અત્રે જણાવ્યા અનુસાર સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.

પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-05માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં. જેની જામનગર જિલ્લાના સર્વે વાહન માલિકોને ખાસ નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

Related posts

Leave a Comment