પાણી, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી

હિન્દ ન્યુઝ, આહવા

ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દરેક દેશવાસીના હિતમાં પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે.

પ્રાકૃતિક ખેતી કોઈપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતાં ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારાં ભાવ મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.

પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થા બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેતી વ્યવસ્થા છે, કે જેનાથી પોષણક્ષમ ખેત ઉત્પાદન કરી શકાય છે અને ખેડૂતનું જીવન ધોરણ સુધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી માટે જરૂરી આયામોનું ધ્યાન રાખીને ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ ઉપ્તાદન મેળવી શકાય છે. તેનાં આયામોમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતનો સમાવેશ થાય છે.


બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરવાની પ્રક્રિયા :-

બીજામૃત તૈયાર કરવા માટે ખેડૂતોએ ૦૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૦૫ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૫૦ ગ્રામ ચુનો અને ૦૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિ. ગ્રા. બિયારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લઈ શકાય છે.

જીવામૃત તૈયાર કરવા ખેડૂતોએ ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૧૦ કિ.ગ્રા. દેશી ગાયનું તાજુ ગોબર, ૦૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટી, ૦૧ કિ.ગ્રા. દેશી ગોળ, ૦૧ કિ.ગ્રા. ચણા કે કોઈપણ દાળનાં લોટનું મિશ્રણ તૈયાર કરી તેને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મીલાવવું ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયામાં રાખવું. લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૨ વખત ૫-૫ મિનિટ માટે મિશ્રણને હલાવવું. ઉનાળામાં બે ત્રણ દિવસ અને શિયાળામાં એક અઠવાડિયાનાં સમયગાળામાં જીવામૃત તૈયાર થઈ જશે અને તૈયાર થયાનાં ૧૫ દિવસ સુધી આ જીવામૃતનો ઉપયોગ કરી શકાય છે. એક એકર માટે ૨૦૦ લીટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું, ઉભા પાક પર છંટકાવ કરવો જોઈએ.

ઘન જીવામૃત તૈયાર કરવા ખેડૂતોએ ૨૦૦ કિ.ગ્રા. સખત તાપમાં સુકવેલ અને ચારણીથી ચાળેલા દેશી ગાયનાં ગોબરને ૨૦૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળું સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી એક વર્ષ સુધી વપરાશમાં લઈ શકાય છે.

Related posts

Leave a Comment