હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે દેશના અનેક લાભાર્થીઓના સપનાઓ પણ કેન્દ્ર સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી પુરા થઈ રહ્યાં છે.
લોક કલ્યાણની અનેક યોજનાઓ ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરીવારોને સહાયરૂપ બનતી હોય છે. આ યોજનાઓ પૈકીની એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે…આ એક એવી યોજના કે, જેના દ્વારા નાના માણસોના પોતાના ઘરના ઘરનું સ્વપ્ન હકિકતમા ફેરવી દે છે.
જીવનમાં દરેક માણસને પોતાનું ઘર બનાવવું એ એક સ્વપ્ન હોય છે. જે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સાકાર થઇ રહ્યું છે. એક કહેવત છે કે, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુ:ખમાં આગળ પડી રહે, સુખમાં પાછળ હોય.. અત્યારની વર્તમાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર પણ આવી જ પ્રજા પ્રત્યેની સંવેદનશીલ સરકાર છે. જે મુશ્કેલી અમારાં જેવાં ગરીબ લોકોની મુશ્કેલીઓ વખતે આગળ આવે છે અને છતાં કોઈપણ પ્રકારનો દેખાડો કર્યા વગર પોતાની રીતે નિરંતર કાર્ય કરીને લાખો લાખો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરીને એક સાચા મિત્રની ગરજ સારી રહી છે.
આ યોજનાના ભાવનગર શહેરના આવાં જ એક લાભાર્થી ગણેશભાઇ પરમાર પોતાની હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, દરેક પરીવારનું એક સ્વપ્ન હોય છે કે, જીવનમાં એકવાર તે પોતાના ઘરનું ઘર બનાવે. મારું પણ આવું જ એક સ્વપ્ન હતું અને તે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પુરૂ થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આનાથી ન માત્ર મારા ઘરને છત મળ્યું છે, પરંતુ સમાજમાં પણ એક મોભો મળ્યો છે કે હવે હું સમાજમાં જ ગર્વભેર કહી શકું છું કે, મારું પોતાનું પણ એક ઘર છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મળેલ ઘરમાં નળ, ગટર, પાણી, ગાર્ડન, લિફ્ટ સહિતની આધુનિક સુવિધાઓવાળું ઘર સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે.
તેમણે પોતાની સંઘર્ષ ગાથા અંગેની વાત કરતાં કહ્યું કે, અગાઉ જ્યારે તેઓ કાચા મકાનમાં ભાડે રહેતાં હતાં ત્યારે તે મકાનનું ભાડું સમયસર ચુકવવું પડતું હતું.
આ ઉપરાંત ઘરે અચાનક કોઇ મહેમાન આવી ચડે તો બેસવા-સુવા માટે પણ ઘરમાં જગ્યા ન હોવાથી આજુ-બાજુમાં તેમજ નજીકમાં રહેતા સંબંધીઓને ત્યાં લઇ જવા પડતાં હતાં.
આવી અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પોતાના મિત્રએ જણાવેલ કે સરકાર દ્વારા આવાસ યોજનાઓ થકી અનેક લોકોને પોતાનું ઘર મેળવવામાં સફળતા મળી છે.
આ અંગે તેમનાં મિત્રએ જ ફોર્મ કેવી રીતે મેળવવું ? કઇ કચેરીએ જવું ? વગેરે જેવી બાબતો વિશે માહિતી આપી હતી. આ માહિતી મેળવ્યા બાદ ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે આવાસ યોજનાનું ફોર્મ ભરી જરૂરી કાર્યવાહી બાદ નજીવી કિંમતે એટલે કે રૂ.૩ લાખમાં પોતાના ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર થયુ છે તે બદલ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
બ્યુરોચીફ (ભાવનગર): હકીમ ઝવેરી