જામનગરમાં વિભાપર ગામથી રાજકોટ રોડ તરફનો ફાટકવાળો માર્ગ આગામી જુલાઈ માસ સુધી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર

  જામનગરમાં સ્થિત વિભાપર ગામ નગરસીમ વિસ્તાર, વૃંદાવન ધામ-2, વૃંદાવન સ્કૂલની પાછળની તરફના રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ નંબર 190 પર રેલવે અંડરબ્રિજના બાંધકામની કામગીરી રેલવે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી આ રસ્તા પર ચાર માસથી વધુ સમયગાળા માટે વાહન વ્યવહાર રોકવા માટે રાહદારી રસ્તો બંધ કરવાની દરખાસ્ત જરૂરી જણાય છે. આગામી સમયમાં ચોમાસાની ઋતુમાં કામગીરીમાં અવરોધ ના આવે, સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ થાય અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ના પડે તેથી આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર આગામી તારીખ 30/07/2024 સુધી વિભાપર ગામથી ફાટકવાળા રોડથી ક્રિષ્ના ટાઉનશીપથી ક્રિષ્ના માર્બલ રાજકોટ રોડ તરફનો આવતો તથા જતો ફાટક વાળો રસ્તો બંધ રહેશે. તેના વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ રોડ પરથી વિભાપર અવર જવર કરવા માટે ગુલાબનગર પહેલા ઢાળિયાથી વિભાપર ગામ તરફ જતો આવતો રસ્તો કાર્યરત કરવામાં આવ્યો છે.

ઉક્ત જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 (6) ના પરંતુકની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે છે. અત્રે જણાવેલા પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 શિક્ષાને પાત્ર થશે.

 

 

 

 

Related posts

Leave a Comment