હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજે ખાસ તમિલનાડુથી આવેલ લોકો માટે પથિકા મેદાન ઓડિટોરિયમ ખાતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુન રામ મેઘવાલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વણક્કમ કહી કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે ઉપસ્થિત તમિલ બાંધવો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, અહીં પધારેલા દરેક તમિલ બાંધવો અમારા માટે વીઆઈપી છે. તમે અમારી સમક્ષ રામનાથપુરી જિલ્લામાં પરમકુડી ખાતે યુનિવર્સિટીના નિર્માણ માટે માગણી કરી એનો મતલબ એ થયો કે તમને ભણતરમાં રસ છે, જે પ્રશંસનીય બાબત છે. મેં શિવગંગા સહિત આસપાસના વિસ્તારની મુલાકાત લીધી છે જેથી હું આપની આ લાગણી સમજુ છું અને કેન્દ્ર સરકારના સહયોગથી ભાષાની આ અડચણને દૂર કરવાનો સહિયારો પ્રયત્ન કરીશું. વાર્તાલાપ દરમીયાન એક તમિલ બાંધવની ગુજરાતના વિકાસ મોડેલને તમિલનાડુ સહિત સમગ્ર દેશમાં લાગુ કરવાની વાત વિશે તેમણે જણાવ્યું કે આ માટે આપણે તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ અને સશક્ત નેતૃત્વ હેઠળ એકતા અને ભાઈચારાની ભાવના સાથે સહિયારો પ્રયાસ કરવો પડશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ના નિર્માણ તરફ એક અતિ મહત્વનું પગલું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ દિલને દિલથી જોડવાનો કાર્યક્રમ છે. આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના પ્રદેશને જોડતો રસ્તો બનાવ્યો છે, તે જ રીતે આ સંગમના માઘ્યમથી બે પ્રદેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવાનો, બે પ્રજા વચ્ચે ભાવનાત્મક જોડાણ મજબૂત કરવાનો પ્રયાસ છે. બંને પ્રજા વચ્ચે ખાનપાન, રહેણીકરણી, ભક્તિ, ભાવ, ધર્મ સહિતની બાબતોની સમાનતા છે, સાંસ્કૃતિક રીતે વૈવિધ્ય હોવા છતા એકતા છે તો એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કેમ ન કરી શકીએ. તમિલભાઈઓ દ્વારા ઉત્પાદિત કાંજીવરમની સાડી આખો દેશ પહેરે છે, એવી જ રીતે ગુજરાતની બાંધણી પણ દેશભરમાં પ્રખ્યાત છે. એકબીજાના ખાનપાન, પોષાક અને અન્ય સાંસ્કૃતિક બાબતોથી આપણને આટલો બધો લગાવ છે ત્યારે આપણે એક રહી દેશને વધુ આગળ લઈ જવાનો છે. રામાયણની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે ભગવાન રામ જ્યારે લંકાથી સીતાને પાછા લાવ્યા દક્ષિણના પ્રદેશમાંથી તેમને ખૂબ જ સહયોગ મળ્યો હતો. સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ આ સદીઓ જૂના સંબંધોની ઉજવણી છે અને ગુજરાતને તમિલનાડુ સાથે જોડવાનું કાર્ય કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રયોગ એક ભાવથી દિલોને જોડે છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને અમેરિકા, રશિયા,ચીન જેવા દેશોને પાછળ મૂકી ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માત્ર દસ દિવસની મુલાકાતનો પ્રસંગ નથી, પણ વર્ષો સુધી સાથે રહેવાનો પ્રસંગ છે.
આ તકે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતને ભક્તિ, સંસ્કૃતિ, સાહિત્ય, લાગણી અને અવસરોની ભૂમિ તરીકે વર્ણવી આ પાવન ભૂમિ પર સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને ભાવપૂર્વક આવકારતા જણાવ્યું હતું કે, સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને આજે પોતાના વડવાઓની ભૂમિના દર્શન કરાવવાનું મંગલ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ સંગમ કાર્યક્રમના માધ્યમથી થયું છે. આ સંગમે બે પ્રદેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનું કામ કર્યું છે. મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈઓ-બહેનો પોતાના વતનની મુલાકાતે આવ્યા છે ત્યારે આ મુલાકાત તેમના જીવનનું યાદગાર સંભારણું બની રહે તે પ્રકારે સરકાર અને સ્થાનિક લોકો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંગમમાં તમિલનાડુ અને ગુજરાતની પૌરાણિક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સાંસદશ્રી રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી રામીબેન વાજા, ધારાસભ્યશ્રી કે.સી. રાઠોડ, ધોરાજી ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, ગીર સોમનાથ પ્રભારી સચિવશ્રી જેનુ દેવાન, જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, રેન્જ આઇ.જી.શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા, જી.પી.એસ.સી.પૂર્વ ચેરમેનશ્રી દિનેશભાઈ દાસા અગ્રણી સર્વશ્રી મહેન્દ્રભાઈ પીઠીયા સહિત પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.