કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ દ્વારા પુરસ્કૃત વોટરશેડ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં બે દિવસ યોજાનાર વોટરશેડ યાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે યોજાયેલ વોટરશેડ યાત્રાનો પ્રારંભ તાલાલા તાલુકાના પીપળવા ગામેથી થયો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારે પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જળ એ જીવનનો આધાર છે. જળ છે તો આપણે છીએ. જો જળ નહીં હોય તો આપણું જીવન પણ મુશ્કેલીમાં મૂકાશે. આ જળ ફક્ત જીવન નથી લાવતું પરંતુ જીવન સાથે ધન-ધાન્ય પણ લાવે છે. આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ ત્યારે જળ-જમીન, જંગલ, જનાવર અને જન આધારિત કામો જિલ્લામાં થઈ રહ્યાં છે. જેમાં પાણી સંગ્રહ, જમીન સુધારણા, વૃક્ષારોપણ અને ખેતસુધારણાની કામગીરી થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારની વોટર શેડ યોજના દ્વારા ગ્રામ્ય કક્ષાએ સિંચાઈ, બાગાયતી ખેતી, ગૌચરનો વિકાસ, વરસાદી પાણીના સંગ્રહ, પીવાના પાણીની સુવિધા સાથે ગ્રામ સમુદાય સાથે ટકાઉ આવકના સ્ત્રોતો ઉભા કરવા જેવા કામોને અગ્રતા આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ પાણી સંગ્રહ, ખેત ઉત્પાદન અને આજિવિકા આધારિત અનેક કામો થઈ રહ્યાં છે. જિલ્લામાં ચેકડેમ, કોઝવે, તળાવ, કૂવા રિચાર્જ, બોરવેલ રિચાર્જ જેવા કામો થયા છે. તો ખેડૂતોને સ્પ્રિંકલર, ડ્રિપ ઈરિગેશન, સોલાર પંપ જેવા આપવાના કામો થયા છે. તેનો આનંદ છે.

અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં અનેક વિકાસના કાર્યો થયા છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે, ત્યારે પાણી એ કૃષિ માટેનું આવશ્યક અંગ છે. ગુજરાતમાં પાણી સંગ્રહના અનેક કાર્યો થયાં છે. આ સાથે રાજ્યમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડી અને પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનું અભિયાન પણ મોટાપાયે ચાલી રહ્યું છે. જેનાથી રાજ્યના નાના અને સીમાંત ખેડૂતોને મોટો લાભ થવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વોટરશેડ યાત્રાથી જિલ્લા જળસ્ત્રાવ એકમ દ્વારા કાર્યાન્વિત થયેલા કામો વિશે ગામડાના લોકોને જાણકારી મળશે, તેમજ ભવિષ્યમાં પાણીસંગ્રહના ઉપક્રમો આદરવા માટે જરૂરી સમજ પણ આ યાત્રાના લીધે મળશે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ સમગ્ર વોટરશેડ યાત્રા દરમિયાન હાથ ધરાનાર વિવિધ ઉપક્રમો અને તેનાથી થનાર ફાયદા વોટરશેડના કારણે લોકોના અભિગમમાં આવતા પરિવર્તન તથા જળસ્ત્રાવ એકમના કારણે જિલ્લામાં આવેલા બદલાવ વિશે વાત કરી પાણી ખેડૂત અને ગ્રામ્યજીવનમાં કેટલું મહત્વપૂર્ણ છે, તેની વિસ્તૃત સમજ આપી હતી. પીપળવા તથા આસપાસના ગામોમાં પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પ્રાકૃતિક કૃષિના લાભાલાભની વાત કરી હતી. તો જિલ્લા જળસ્ત્રાવ એકમના અધિકારીઓ અને કર્મચારીઓએ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી પાણી સંરક્ષણની પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી હતી.

આ વોટરશેડ યાત્રા આજે પીપળવા બાદ ધ્રામણવા ભ્રમણ કરશે અને આવતીકાલે વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે પણ ભ્રમણ કરશે. આ વોટરશેડ યાત્રાના શુભારંભ અવસરે તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, ઉપસરપંચ શ્રી ઉકાભાઈ, ગોવિંદભાઈ બારડ સહિત આસપાસના ગામના આગેવાનો, પ્રાકૃતિક કૃષિકારો, વરિષ્ઠ નાગરિકો, આચાર્ય ગોવિંદભાઈ રામ, શિક્ષકગણ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment