ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ-૨૦૨૫

હિન્દ ન્યુઝ, બોટાદ

               આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. બોર્ડની પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ મુદ્દે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોગ્ય તૈયારીઓ સાથે યોજાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં બોટાદ કલેક્ટર ડો. જીન્સી રોય સહિત જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતા.

            આ વીડિયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં ફરજ પરના અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

          તા. ૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક અને શાંતિમય માહોલમાં આપી શકે એવી વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી તૈયારીની વિગતો કલેક્ટરએ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા, બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરત વઢેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


         ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં, ધોરણ ૧૦ના કુલ ૧૦,૩૧૧ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧૦ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૫૩૩૦ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૬ કેન્દ્રો પરથી લેવાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૮૬૯ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧ કેન્દ્ર પરથી લેવાશે. જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૬,૫૧૦ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ૧૭ કેન્દ્રો ખાતે યોજાશે.

Related posts

Leave a Comment