હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ ખાતે સોમવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી લોકોમાં દેશદાઝની ભાવના જાગે તે માટે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
૧૧૧ મીટર લંબાઈના તિરંગા સાથેની આ ભવ્ય તિરંગા યાત્રાને સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ તેમજ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તિરંગા યાત્રા ટાઉનહોલ, આણંદથી નીકળીને વિદ્યાનગર રોડ ખાતેથી પસાર થઈને, ભાઈકાકા સ્ટેચ્યુ થઇ, શાસ્ત્રી મેદાન ખાતે સમાપ્ત થઇ હતી. જેમાં પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસના જવાનો, એન.સી.સી. કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનો જોડાયા હતા.
આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની