હિન્દ ન્યુઝ, પાલીતાણા
વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા ૨૧ મો સમૂહ લગ્ન સમારોહ આગામી તા. ૧૪ ઓગસ્ટને રવિવારે પાલીતાણા-લુવારવાવ રોડ, ઓમકારેશ્વર મંદિરની બાજુમાં પ્રજાપતિ સમાજની વાડી ખાતે ધામધૂમપૂર્વક યોજાશે.
આ અવસરે મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા મંત્રી જીતુભાઈ વાઘાણી નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. લગ્ન સમારોહ દરમિયાન આઝાદીના ૭૫ માં વર્ષ નિમિત્તે નવદંપત્તિઓ દ્વારા આકર્ષક થીમ રજૂ કરવામાં આવશે. સામાજિક, રાજકીય તેમજ સંતો- મહંતોની ઉપસ્થિતિમાં ૩૩ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સત્તિધાર જગ્યાના મહંત પૂજ્ય વિજયબાપુ નવદંપતીઓને આશીર્વાદ વચન પાઠવશે. વાટલીયા પ્રજાપતિ સમાજ કલ્યાણ ટ્રસ્ટ આયોજિત દર વર્ષની માફક કોરોના કાળ બાદ આ વર્ષે ફરી વખત સમૂહ લગ્ન સમારોહ ઉત્સાહભેર યોજાશે. જેમાં તા. ૧૩ ના રોજ સવારે ૯-૦૦ કલાકે મંડપ મુહૂર્ત બાદ તા.૧૪ ના રોજ સવારે ૬-૦૦ કલાકે લુહારવાવ ગામ ખાતે જાનનું આગમન થશે તેમજ સવારના ૧૦-૩૦ કલાકે હસ્ત મેળાપ થશે. બપોરે ૨-૦૦ કલાકે જાનને વિદાયમાન અપાશે. આ તમારો દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે સામાજિક તેમજ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેર કાર્યક્રમ યોજાશે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ મળે, સમાજમાં સંગઠન શક્તિ વધે અને કુરિવાજો ડામવા અંગે મહાનુભાવો શીખ આપશે. આ સમારોહમાં ઉપસ્થિત રહેવા સમૂહ લગ્ન કમિટી તેમજ ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી