હિન્દ ન્યૂઝ, માણાવદર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.9 થી 12ની પ્રથમ કસોટી અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણ તેમજ આંતરિક મૂલ્યાંકન સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ધો.9 અને 11 ને પ્રથમ પરીક્ષાના 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 ગુણ અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ એમ કુલ મળીને 150 ગુણના આધારે વર્ગ બઢતી અપાશે. આજ રીતે ધો.10માં 80 ગુણ અને ધો.12માં 100 ગુણ રહેશે. ધો.9 થી 11 માં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ નક્કી કરવામાં આવ્યા છે.
ધો.9 થી 12 ની પ્રથમ કસોટી આગામી તા.19 થી 27 માર્ચ દરમિયાન લેવાનો નિર્ણય કરાયો છે. જ્યારે ધો.9 અને 11 ની વાર્ષિક પરીક્ષા તા.7 થી 15 જૂન દરમિયાન લેવાનું નક્કી કરાયું છે. દરેક શાળાઓએ આ આયોજન મુજબ ધો.9 થી 12 ના વિદ્યાર્થી નું મૂલ્યાંકન કરી અને વર્ગ બઢતી આપવાની થશે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર