હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાની ટીંબરવા ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
ગામની પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, યુવાઓ તેમજ ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગથી થતા શારીરિક તેમજ માનસિક ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સુક્ષ્મ વ્યાયામ કરાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર વધે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે. યોગ ઋષિ મુનિઓની દેન હોવાનું જણાવીને તેમણે દોડધામભર્યા જીવનમાં શારીરિક બીમારી તેમજ માનસિક અશાંતિને નાથવા માટે ભારેભરખમ જીમમાં જઈને કરાતી અંગ કસરતની સાપેક્ષે નિયમિત યોગાભ્યાસ સમગ્ર શરીરને સ્વસ્થ બનાવતો હોવાનું ઉમેરી યોગને દૈનિક ધોરણે અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ તકે રાજ્યપાલએ શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી બુદ્ધિની તીવ્રતા વધવા સાથે એકાગ્રતા, શીતળતા વધતી હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને દૈનિક જીવનશૈલીનો એક ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ બાળકો સાથે સૂર્ય નમસ્કાર કર્યા તથા ૐ ની મહત્તા જણાવી હતી. ગાયત્રી મંત્રના સામુહિક જાપ સાથે યોગાભ્યાસ સંપન્ન થયો હતો.
