હિન્દ ન્યુઝ, આણંદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૭ મી ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં યોજાનાર બોર્ડની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહે તે માટે આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ પરીક્ષા શરૂ થતા પહેલા અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે.
આ બોર્ડની પરીક્ષામાં આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો.૧૨ ના કુલ-૪૮૦૫૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તે મુજબ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અને વાલીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે કંઈ પણ તકલીફ હોય તે અંગેની જાણકારી આપવાના હેતુસર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનું જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નંબર- ૨૨૦, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો જિલ્લા કંટ્રોલરૂમ આગામી તા.૨૬ મી ફેબ્રુઆરી ને સવારે ૭-૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે, જેનો નંબર ૦૨૬૯૨- ૨૬૪૧૫૩ છે.
આ કંટ્રોલરૂમ તારીખ ૧૭ મી માર્ચ સુધી સવારે ૭-૦૦ કલાકથી રાત્રિના ૮-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. આ કંટ્રોલરૂમના માધ્યમથી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીએ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી કોઈપણ તકલીફ હોય તો માર્ગદર્શન મેળવવા માટે આ જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.