આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કૃત્યો પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

       લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા મેજીસ્ટ્રેટએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે ચૂંટણી પ્રચાર નિયમન બાબતે જાહેરનામું બહાર પાડ્યું છે. જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા હોર્ડિંગ્સ, માસ મીડિયા, વર્તમાનપત્રો, ટી.વી.ચેનલોમાં તથા અન્ય વિજાણુ માધ્યમોમાં પોતાના પક્ષની સિદ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી કરી શકશે નહીં, જાહેર કે ખાનગી સ્થળોએ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની આજુબાજુ અને હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના દબાણ દ્વારા ચૂંટણી કાર્યાલય શરુ કરી શકાશે નહીં. કોઈ વ્યક્તિએ આદર્શ આચારસંહિતાના ભંગ થાય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિસીસ અથવા મેસેજ અન્ય વ્યક્તિને મોકલવા નહીં. ઉશ્કેરણીજનક ભાષણો પર પણ પ્રતિબંધ રહેશે. ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ ધાર્મિક સ્થળો સ્થળોનો ઉપયોગ કરી શકાશે નહીં તથા ધાર્મિક કાર્યક્રમોમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં ચાર કે તેથી વધુ વ્યક્તિ એકઠા થઈ શકાશે નહીં. ચૂંટણી પ્રચાર વખતે કટઆઉટ, ધ્વજ, બેનર, હોર્ડીંગ, પોસ્ટર, વગેરેના ઉપયોગ તથા શાળા કોલેજના મેદાનનો ઉપયોગ પરવાનગી લઈને કરી શકાશે. ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓને તે મતદારક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામુ તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ-૧૮૮ની જોગવાઈ હેઠળ સજાને પાત્ર છે. આ હુકમ ફરજ પર રોકાયેલા હોય તેવા તમામ સરકારી તથા અર્ધ સરકારી અધિકારી-કર્મચારીઓને લાગુ પડશે નહીં.

 

Related posts

Leave a Comment