હિન્દ ન્યુઝ, ભાવનગર
લોક અદાલત કેસના નિકાલ માટે બંન્ને પક્ષકારો માટે વીન-વીન સીચ્યુએશનનું લક્ષણ ધરાવતું સબળ માધ્યમ છે – ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.જી.ઉરૈઝી
ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.જી.ઉરૈઝીની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં એક જ દિવસમાં ૧૦,૭૭૧ કેસોનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂા. ૭.૫૦ કરોડના દાવાઓ દાવાઓ એવોર્ડ કરાયાં હતાં.
ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ, ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતના કાર્યક્રમમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એ.જી. ઉરૈઝી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમની અધ્યક્ષતા હેઠળ જિલ્લા તથા તાલુકા સ્તરની કોર્ટોમાં એક સાથે યોજાયેલા આ લોક અદાલતના કાર્યક્રમમાં એક સાથે ૧૦,૭૭૧ કેસોનો સ્થળ પર જ સુખરૂપ ઉકેલ લાવવામાં આવ્યો હતો. જસ્ટીસએ આ કહ્યું કે, લોક અદાલત એવું માધ્યમ છે કે બંન્ને પક્ષકારને ન્યાય મળ્યાંની અનુભૂતિ થાય છે. એટલે કે કોઇ હાર્યો કે જીત્યો તેમ નહીં પરંતુ બન્ને પક્ષકારને ન્યાય મળ્યાંની અને બંને માટે વીન-વીન સીચ્યુએશનનું નિર્માણ થાય છે. તેમણે ઉમેર્યું કે, આનાથી બંને પક્ષકારો વચ્ચે સદભાવ જળવાઇ રહે છે અને શાંતિથી અને સુખરૂપ રીતે કેસનો નિકાલ આવે છે. જો આ કેસ કોર્ટમાં ચાલે તો ઘણો સમય નિકળી જાય અને ઘણાં કેસમાં વળતર કરતાં તેને મેળવવાનો ખર્ચો વધી જતો હોય છે. જસ્ટીસએ વધુમાં ઉમેર્યું કે, લોક અદાલતથી જે ઝડપથી કેસનો નિકાલ આવે છે તેને કોર્ટ રાહે ઉકેલવામાં વર્ષો નિકળી જાય છે. તેમણે વધુને વધુ લોકો આ સુવિધાનો લાભ મેળવે તે માટે અપીલ કરી હતી.
તેમણે તેમના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું કે, તેઓ ભાવનગરમાં વકીલાતના પાઠ ભણ્યાં છે. ભાવનગરના વકીલો હોંશિયાર અને કાબેલ છે. તેઓના હૈયે અસીલોનું હીત વસેલું છે.
આજે યોજાયેલી લોક અદાલતમાં દિવાની દાવા, ચેક રિટર્ન, પ્રિ-લીટીગેશન, ટેલિફોન બીલને લગતાં, ક્રિમિનલ કેસમાં સમાધાનને પાત્ર કેસ, લગ્ન વિષયક કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી