શેરડીના પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે ખેતીવાડી ખાતાની માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, સુરત

    દક્ષિણ ગુજરાતના મુખ્ય ગણાતા શેરડીના પાકમાં હાલમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આ જીવાત પાકના પાનમાંથી રસ ચૂસીને ખેતીને મોટું નુકસાન પહોંચાડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત વ્યવસ્થાપનની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

                  શેરડીના પાક માટે ખેતરમાં વધારાના પાણીના નીતારની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. ક્ષારીય જમીનમાં શેરડીનું વાવેતર કરવાનું ટાળવું અથવા લામ પાક લેવો નહીં. રાસાયણિક ખાતર તેમજ પિયત હંમેશા ભલામણ મુજબ જ આપવું. સફેદ માખીના ઉપદ્રવિત કોશેટાવાળા પાન કાપીને તેનો યોગ્ય નિકાલ કરવો. સફેદ માખીના જૈવિક નિયંત્રણ માટે બચ્ચા/કોશેટાના પરજીવી એન્કાર્સીયા મેક્રોપ્ટેરાની વૃધ્ધિ કરવા ૪૦ મેશનાં પાજરાની સંખ્યા ૧૦ થી ૧૨ પ્રતિ હેક્ટર રાખવી અને પાંજરામાં ૧૫ થી ૨૦ દિવસે વધુ ઉપદ્રવિત કોશેટાવાળા પાન કાપીને નાંખવા તથા ૧૫ દિવસે પાન બદલતા રહેવું. સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયાકિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેક્સમેક્યુલેટસ, બુમોઈટસ સુચુરાલીસ, પરભક્ષી કરોળીયા તથા કેટલીવાર ક્રાયસોપા પણ જોવા મળે છે ત્યારે, દવાનો છંટકાવ મુલત્વી રાખવો. લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ તથા ૨૦૦ ગ્રામ યુરીયા તેમજ એક ચમચી ડિટર્જન્ટ પાઉડર ૧૦ લિટર પાણીમાં ભેળવીને સફેદ માખીના નિયંત્રણ માટે છંટકાવ કરવો. સફેદ માખીના શરૂઆતના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ ટકા એસ.એલ. ૧૦ લિટર પાણીમાં ૩ મિ.લિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવો, 

            વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. 

             વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તા.અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, નાયબ ખેતી નિયામક (વિસ્તર), નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિ.ખેતીવાડી અધિકારી, જિ.પં.-સુરતની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment