હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ, તા-૧૬: સુશાસનના સંકલ્પ સાથે જન કલ્યાણ માટે સતત કાર્યશીલ સરકાર દ્વારા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં તા.૧૫ ઓક્ટોબરના રોજ સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં ભાખા ગામના વતની રસીદાબહેન હુસેનભાઈ મકવાણાને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત વિવિધ પ્રકારની ફેરી માટેના સાધનોની કીટ અર્પણ કરવામાં આવી હતી.
આદિજાતી વિકાસ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત ૧૩,૮૦૦ની કિંમતની ફેરી માટેના સાધનોની કીટ મળતા ખુશખુશાલ રસીદાબહેને જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું કે મને સરકાર દ્વારા આ કીટ આપવામાં આવી છે. આ કીટ મારા માટે આત્મનિર્ભરતા તરફનું પહેલું પગથિયું છે. મહિલાઓના વિકાસ માટે કામ કરતી સરકારે મારો હાથ પકડ્યો છે અને મને આત્મનિર્ભરતા તરફ આગળ વધારી છે. આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.
નોંધનીય છે કે, માનવ ગરીમા યોજના અંતર્ગત રસીદાબહેન હુસેનભાઈ મકવાણાને જે વિવિધ પ્રકારની ફેરી માટેના સાધનોની સહાય મળી છે તેમાં રેંકડી, છત્રી, બે કેરેટ સહિત માપતોલ તેમજ વિવિધ પ્રકારના સાધનોનો સમાવેશ થાય છે.