હિન્દ ન્યુઝ, ભાવનગર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહુવા તાલુકાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના મહત્વપૂર્ણ નિર્ણય માટે અત્યંત ઉપયોગી એવો ‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગતનો તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર મહુવાની પારેખ કોલેજના સેમિનાર હોલમાં યોજાયોહતો. ગઈકાલે યોજાયેલો આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી ભાવનગર આયોજિત હતો.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનો, અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, એસ.વી.એસ કન્વીનર વગેરેનું પુષ્પગુચ્છ થી સ્વાગત થયાં બાદ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીટ નિરીક્ષક જે.બી વ્યાસ એ શાબ્દિક સ્વાગતથી સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોને તેમને આવકાર આવકાર આપી બિરદાવ્યાં હતાં.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણીના શુભેચ્છા સંદેશ સાથે કારકિર્દી માર્ગદર્શનની શરૂઆત થયાં બાદ આઈ.ટી.આઈ., એન્જિનિયરિંગ, ખેતીવાડી શાખા, આરોગ્ય શાખા, રોજગાર કચેરી, મહુવાની પારેખ કોલેજમાં ચાલતાં અભ્યાસક્રમો વગેરેની માહિતી જે તે વિભાગના વડા અને અધિકારીઓએ આપી હતી.
જીપીએસસી વર્ગ-૧- ર ની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન પણ અપાયું હતું. મુખ્ય વક્તા ચુડાસમા સાહેબે કારકિર્દીની પસંદગી દરેકની પોતાની હોવાં પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ વિશાલભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગ્નેશભાઈ ગઢવી, તરુણભાઈ મહેતા દ્વારા થયું હતું
મહુવા તાલુકાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝોન કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલ ઓફ સાયન્સ સરકારી હાઈસ્કૂલ, તરેડ અને સરકારી હાઈસ્કૂલ, સેદરડા તથા રાધેશ્યામ હાઈસ્કૂલના બાળકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહુવાની સરકારી હાઈસ્કૂલની ટીમ તથા પારેખ કોલેજનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો. એસ.વી.એસ. પાંચ મંથનના કન્વીનર સુખાભાઈ ડાભી, બીટ નિરીક્ષક જે.બી વ્યાસ, મદદનીશ બીટ નિરીક્ષક બોસમીયા તથા મોડેલ સ્કૂલ, તલગાજરડાના આચાર્ય વિશાલભાઈ રાજગુરુ તથા મહુવાની સમગ્ર માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ બહોળીસંખ્યામાં આ સેમિનારનો લાભ લીધો હતો.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી