હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિશ્વ શાંતિ અર્થે વિશ્વપદ યાત્રી અવધ બિહારી લાલની ટીમ વિવિધ રાજ્યોના પ્રવાસાર્થે પરિભ્રમણ કરતા રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમનું કલેકટર પ્રભવ જોશીએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. અહીં તેઓ તા. ૧૪ સુધી રોકાણ કરી છાત્રો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે કાર્યક્રમો યોજી જનકલ્યાણકારી યોજનાઓનો પરામર્શ કરશે. ઉત્તર પ્રદેશના લખીમપુરના અવધ બિહારી લાલ દ્વારા વર્ષ ૧૯૮૦ માં વિશ્વશાંતિ વિશ્વપદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ તેમની ટીમમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ, ગોવિંદ નંદ સહીત ૨૦ સભ્યોની ટીમ કાર્યરત છે.
આ ટીમ દ્વારા પદયાત્રા ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન થઈ ગુજરાતમાં વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરશે. રાજકોટ ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં પર્યાવરણ બચાવ, પ્રદુષણ નિયંત્રણ, વન સંરક્ષણ, સ્વચ્છ ભારત મિશન, બેટી બચાઓ-બેટી પઢાઓ સહીત લોકકલ્યાણ અર્થે કલ્યાણકારી યોજનાઓ જનજાગૃતિ અર્થે સહભાગી બનશે.
