હિન્દ ન્યુઝ, દાહોદ
નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ અને જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂનથી ૨૯ જૂન દરમિયાન ૫ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૬ મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સામાન્ય અંદાજ મુજબ, લાંબા સમય સુધી બાગાયતી ઉત્પાદનોને સંગ્રહી રાખવાના પૂરતા સાધનો ન હોવાને કારણે અંદાજે ૩૦ ટકા જેટલો પાક/ઉત્પાદન બગડી જાય છે અને ઉપયોગમાં લઈ શકાતો નથી. આ પ્રકારનો બગાડ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પગભર કરવા માટે આ વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન સહભાગી બહેનોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અને સ્વાસ્થ્યવર્ધક શુદ્ધ આહાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઘરગથ્થું સ્તરે રોજગારી શરૂ કરી શકાય તે માટે વિવિધ પ્રકારના શરબત, ટોમેટો કેચઅપ, અથાણાં, ટૂટી-ફૂટી, જામ, જેલી, સીરપ, ગુલકંદ, મુરબ્બો, ચટણી તેમજ સુકવણી દ્વારા પાવડર અને ચિપ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમના સફળ સમાપન બાદ તમામ બહેનોને પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
