હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા
રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–૨૦૨૬ અંતર્ગત આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના હસ્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બારીયા તેમજ બસ સ્ટેન્ડ પોલિયો બુથ ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દેવગઢ બારીયા તાલુકામાં આ અભિયાન અંતર્ગત કુલ 41,165 બાળકોને પોલિયો રસીકરણ દ્વારા સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તાલુકામાં 177 પોલિયો બુથ તેમજ 10 ટ્રાન્ઝિટ બુથ કાર્યરત કરવામાં આવ્યા છે. અભિયાનના પ્રથમ દિવસે અંદાજે 35,000 બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી રસીકરણ કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન કોઈપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા બુથો ઉપરાંત બસ સ્ટેન્ડ સહિત વિવિધ સ્થળોએ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરવામાં આવી હતી, જેથી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળે.
આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરવર બારીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કલ્પેશ બારીયા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. ટી.વી. વણકર સહિત આરોગ્ય વિભાગના ડૉક્ટરો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાહોદ જિલ્લા આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરવર બારીયા દ્વારા દેવગઢ બારીયા તાલુકાનું લાયઝનિંગ અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે રૈબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી અર્બન વિસ્તાર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, કુવાબૈણા, સેવનીયા, કેળકુવા, ડાભવા સહિત વિવિધ પોલિયો બુથોની મુલાકાત લઈ રસીકરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ આરોગ્ય ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ અભિયાનના અનુસંધાને તા. 29 અને 30 જૂન, 2026ના રોજ આરોગ્ય કર્મચારીઓ અને આશા કાર્યકરો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈને પ્રથમ દિવસે રસીકરણથી વંચિત રહેલા તમામ ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે, જેથી એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે.
