”જન-જનના સપના સાકાર કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના તરીકે ગણાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) થકી દેશના કરોડો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો નિ:શુલ્ક સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આ યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્યલક્ષી સારવાર લાભાર્થીઓને પુરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન થકી રાજ્યના છેવાડાના વિસ્તારોના લોકો અનેક લાભ મેળવી રહ્યા છે.
”મેરી કહાની, મેરી જુબાની” માં વસઈ ગામના લાભાર્થી સોઢા છત્રસિંહ છનુભા જણાવે છે કે, ”મેં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ કઢાવ્યું છે. થોડા સમય પૂર્વે મારા પેટમાં ગાંઠ થઈ ગઈ હતી. તેનું ઓપરેશન કરાવવાનું હોવાથી મેં 2 પ્રાઈવેટ હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. જ્યાંથી મને એક- દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મેં જામનગર શહેરમાં ઓશવાળ હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. ઓશવાળ હોસ્પિટલ દ્વારા એકપણ રૂપિયો લીધા વગર મારા પેટનું ઓપરેશન કરવામાં આવ્યું છે. હવે મારી તબિયત સારી છે.”
લાભાર્થી છત્રસિંહ સોઢાને ઓપરેશન કરાવ્યા પછી ઘરે જવા માટે તેમને રાજ્ય સરકાર તરફથી 300 રૂપિયાનો રિક્ષાભાડા માટેનો ચેક આપવામાં આવ્યો હતો. તેમજ ઓશવાળ હોસ્પિટલ તરફથી તેમને 15 દિવસની દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. સોઢા છત્રસિંહજીની તબિયત હવે સ્વસ્થ છે, અને તેઓ પુનઃ કાર્યરત બન્યા છે. તેમને કોઈપણ રીતે આર્થિક બોજો ના આવવાથી તેમના પરિવારમાં ખુશીની લાગણી ફેલાણી છે. આ તકે, તેઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરે છે.