બોટાદ કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ અન્વયે ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા બોટાદ દ્વારા આયોજિત આપત્તિ જોખમ વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ ભૂકંપ જેવી અણધારી આપત્તિ વખતે કેટલી સુસજ્જ છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એનડીઆરએફના વડોદરા ખાતેના બટાલિયન-6ના અધિકારી ચોપરા દ્વારા આપત્તિ સમયે એનડીઆરએફ ટીમની કામગીરી કંઇ પ્રકારની હોય છે તેમની શું જવાબદારી છે તેમજ કેવી તૈયારી છે તે બાબતે ઉપસ્થિત બોટાદ ટીમના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભૂકંપ જેવી અણધારી પરિસ્થિતિમાં પણ એનડીઆરએફની ટીમ તાત્કાલિક મદદ માટે પહોંચી જ જાય છે પરંતુ આ સમયે સ્થાનિક લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. શાળાના વિદ્યાર્થીઓ પણ ભૂકંપ સમયે શું તકેદારી રાખવી તે બાબતથી માહિતગાર થાય તે માટે એનડીઆરએફ દ્વારા સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે.

આ તકે એનડીઆરએફ ટીમના અધિકારી સુધીરકુમારે સૌને એનડીઆરએફની ભૂમિકાથી પરિચિત કરાવ્યા હતા. તેમણે એનડીઆરએફ ટીમની સજ્જતા, તેમની પાસેના આધુનિક સાધનો વિશે માહિતી આપી હતી. સાથોસાથ તેમણે જણાવ્યુ હતું કે, કોઇપણ દુર્ઘટના સમયે એનડીઆરએફની ટીમ અને વહીવટી તંત્ર વચ્ચેનુ સંકલન ખૂબ જરૂરી છે જેથી રિલીફની કામગીરી વહેંચીને તાત્કાલિક ધોરણે આરંભી શકાય. તેમણે સ્થાનિક સ્તરે વિવિધ ટીમ બનાવીને કામગીરી કરવા માટે જણાવી કોઇપણ સમયે તૈયાર રહેવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, ડિઝાસ્ટર સમયે આપણે કામગીરી કરવા કેટલા સજ્જ છીયે તે જાણવા માટે મોકડ્રીલ આવશ્યક છે. તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે, વિભાગો વચ્ચે પરસ્પર સંકલન કેવું છે, ડિઝાસ્ટર બાદ ક્વિક રિસ્પોન્સ કેવો છે તેમજ કોને કેટલી તાલીમની આવશ્યકતા છે.

આ બેઠકનું સંચાલન કરતા બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણીએ જણાવ્યું હતું કે, કોઇપણ ઘટનાનું આગોતરુ આયોજન ખૂબ જરૂરી છે. ભૂકંપની ઘટના એવી છે કે તેની કોઇ સચોટ આગાહી શક્ય નથી ત્યારે દુર્ઘટના બાદ એનડીઆરએફ તેમજ સ્થાનિક તંત્રએ સંયુક્ત રીતે કામગીરી કરવાની હોય છે તે માટે આપણે કેટલાં અંશે સજ્જ છીયે તે જોવું આવશ્યક છે. કોઇપણ આફત સમયે ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ લોકોની સલામતી માટે સતત કાર્યરત છે તેમ જણાવી તેમણે ઉમેર્યુ હતું કે, મામલતદારઓએ પોતાના વિસ્તારમાં કેટલી જર્જરિત ઇમારતો છે, આપણી પાસે કેટલા સાધનો છે તે બાબતની યાદી રાખવી જેથી આપત્તિ સમયે બચાવ કામગીરી ઝડપભેર હાથ ધરી શકાય.

આ બેઠકમાં નાયબ કલેક્ટર સુ રાજેશ્રીબેન વંગવાણીએ જિલ્લાના જરૂરી ફોન નંબરની યાદીમાં ચોકસાઇ જાળવવા પર ભાર મૂક્યો હતો. તો બરવાળાના મામલતદાર સી.આર.પ્રજાપતિએ ભૂકંપ સમયની રાહત કામગીરી બાબતે પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

ઉક્ત બેઠકમાં બરવાળા પ્રાંત અધિકારી પી.ટી.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી, મામલતદાર સર્વ, ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment