હિન્દ ન્યુઝ, દાહોદ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં શાળા શિક્ષણમાં ૧૦૦ ટકા Gross Enrolment Ratio (GER) હાંસલ કરવા તેમજ શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને પુનઃ શિક્ષણ પ્રવાહમાં જોડવાના ઉદ્દેશથી રાજ્યમાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અમલમાં મૂકવામાં આવ્યું છે.
જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને પુનઃશિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન હેઠળ ‘Back to School’ અંતર્ગત શાળા છોડી ગયેલા (Drop-out) તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓનો શિક્ષકો દ્વારા સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન આપી પુનઃ શાળામાં પ્રવેશ અપાવવાનો છે. લિટલ ફ્લાવર્સ સ્કૂલ, દાહોદ ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક પ્રવચન આપતાં કહ્યું હતું કે, ગુરુ એ નાનકડાં ભૂલકાઓમાં સંસ્કારો સાથે વિદ્યા અને વ્યક્તિત્વનું સિંચન કરે છે. પોતાનાં બાળકોના ભવિષ્ય ઘડવાની જવાબદારી દરેક માતાપિતા શિક્ષકોને સોંપી દે છે. શિક્ષક એ બાળકોના જીવનની કેડી કંડારી તેને યોગ્ય દિશામાં દોરી જાય છે.
એમણે ઉમેર્યું હતું કે, સરકાર બાળકોને આંગણવાડી થી લઈને કોલેજ પૂર્ણ થવા સુધીની તમામ સગવડ કરી રહી છે. મફત શિક્ષણ થી શરૂ કરીને શિષ્યવૃતિ આપવા સુધીની વ્યવસ્થા પુરી પાડી છે એમ કહેતાં મંત્રીશ્રીએ સામૂહિક પ્રયાસો દ્વારા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા બહાર રહેલા બાળકો ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડાય તે માટે સઘન કામગીરી હાથ ધરવામાં માટે આહવાન કર્યું હતું.
આ સાથે સાંસદ જશવંતસિંહ ભાભોર એ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સૌ શિક્ષકોને સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટેની શિષ્યવૃતિ જેવી યોજનાઓ અંગે માહિતી આપી હતી.
આ દરમ્યાન મંત્રી સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા બેક ટૂ સ્કૂલ અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૨ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ૧૧૧ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને પૂરા પગાર આદેશ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા, શિક્ષણ નિરીક્ષક રાકેશ ભોંકણ સહિત અન્ય અધિકારીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
