હિન્દ ન્યુઝ, બોટાદ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાતનાં ઉપક્રમે તથા જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિને સમર્પિત રાષ્ટ્રીય સ્તરનાં યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવતી આ પદયાત્રા 18 નવેમ્બર 2025, મંગળવારના રોજ યોજાશે.
આ પદયાત્રાનું પ્રસ્થાન સવારે 7:30 કલાકે ભીમડાદ ગામનાં શ્રી બ્રહ્મર્શી વિદ્યાલયથી થશે જ્યારે સમાપન ટાટમ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થશે. ભીમડાદ ગામથી ટાટમ રોડ, ટાટમ ગામ, ટાટમ બસ સ્ટેન્ડ અને ગઢડા માર્ગે પસાર થતાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.
કાર્યક્રમનું અધ્યક્ષપદ રાજ્યનાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તથા બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા સંભાળશે. મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારનાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહેશે.સરદાર પટેલનાં અદ્વિતીય રાષ્ટ્રીય યોગદાનને યાદ કરી, યુવાનો અને નાગરિકોમાં રાષ્ટ્રની પ્રગતિ માટેની પ્રેરણા વધારવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ ઐતિહાસિક પદયાત્રામાં મોટી સંખ્યામાં બોટાદવાસીઓ સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
