સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત
હિન્દ ન્યુઝ, આણંદ
રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા સેવાસદનમાં જિલ્લાના કર્મયોગીઓ તથા કચેરીઓમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃત બને તેવા હેતુથી જિલ્લા સેવાસદનની સીડીઓ અને લિફ્ટ પાસે ‘યુ બર્ન કેલેરીસ’ના સંદેશાઓ લગાવવામાં આવ્યા છે.
આજના સમયમાં બેઠાડું જીવન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે.મહદઅંશે બેઠાડું જીવન અને તણાવના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓ સર્વ સામાન્ય બની છે. ત્યારે જિલ્લા તંત્રમાં કાર્યરત કર્મયોગીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી “મેદસ્વિતા મુક્ત અભિયાન” અંગે જાગૃત કરવા જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્વારા જિલ્લા સેવા સદનમાં આગવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અન્વયે જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે જાગૃતિ માટેના સંદેશાઓ મૂકવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી એ આ પહેલ અંગે જણાવ્યું કે,‘યુ બર્ન કેલેરીસ’ના સંદેશાઓ થકી સેવાસદનમાં આવતા કર્મચારીઓ તથા મુલાકાતિઓ પણ જાગૃત બની લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરી શારીરિક તંદુરસ્તી કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે.
વધુમાં કલેક્ટરએ અપીલ કરતા કહ્યું કે,આ પહેલ થકી લિફ્ટનો ઉપયોગ ઘટશે અને છે વીજ બચત પણ કરી શકાશે.
