હિન્દ ન્યુઝ, કચ્છ
કોઈપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે. આ મહત્વની કેન્દ્ર સ્થાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ માટે અંદાજપત્ર : ૨૦૨૬-૨૭માં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩ હજાર કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે ગુજરાત સરકારના બજેટમાં કચ્છના સર્વાંગી વિકાસ માટે વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ‘કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા’ અને ‘કચ્છડો બારેમાસ’ પંક્તિની સાચા અર્થમાં સાકાર કરવા ગુજરાત બજેટમાં કચ્છ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સર્વ સમાવેશી અંદાજપત્ર ઉપર પ્રતિક્રિયા આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું.
રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ અંદાજપત્રમાં ખાસ કરીને રાજ્યના યુવાનો માટે શિક્ષણની સાથે રોજગારીને ધ્યાને રાખીને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમભાઈ વાજાના નેતૃત્વમાં કરવામાં આવેલી જોગવાઈ વિશે કહ્યું હતું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂ. ૪૦૦ કરોડ, ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા રૂ.૧૨૬ કરોડ તેમજ સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂ.૯૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, i-Hub, અમદાવાદ અને i-Hubના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે રૂ.૮૦ કરોડ, સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે રૂ.૬૭ કરોડ, એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે રૂ.૫૧ કરોડ તેમજ એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે રૂ.૫૧ કરોડની જોગવાઇ કરાઈ છે.
વધુમાં મંત્રી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણની ૧૩૬ સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ રૂ.૪૬ કરોડ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ માટે રૂ.૪૫ કરોડ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા રૂ.૪૫ કરોડ, કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ ૧૨ હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા રૂ.૪૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મંત્રી વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે રૂ.૩૫ કરોડ, રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે રૂ.૩૧ કરોડ, રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા રૂ.૨૮ કરોડની જોગવાઈ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા ૧૯ લાખ ૮૪ હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા અને ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ સહિત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ અંગે કહ્યું હતું કે, રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર એમ ૬ (છ) ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યાં છે. જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડી રોકાણને પ્રોત્સાહન મળશે. આ માટે રૂ.૨,૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, આ ઉપરાંત કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે રૂ.૯૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. કચ્છ, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૨૮ કરોડ, કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ.૨૩૦ કરોડ, તેમજ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવાની જોગવાઇ કરવામાં આવી છે. આમ ગુજરાતના વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં અન્ય પ્રદેશોની જેમ કચ્છનો પણ પ્રવાસન, ઔદ્યોગિક, વન વિસ્તાર, શૈક્ષણિક અને ઐતિહાસિક ક્ષેત્રે સર્વાંગી વિકાસનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
