તા. ૭ મી મે ના રોજ લોકશાહીના પર્વમાં મતદાન જરૂર કરો – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ,આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નું મતદાન ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં આગામી મેં મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર છે. ચૂંટણીના દિવસે મતદાનનો સમય છે સવારે ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધીનો છે, તેથી જ મતદાનના દિવસે વહેલી સવારના ઠંડકના સમયમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને અપીલ કરી છે.

આણંદ જિલ્લામાં યોજાનાર લોકશાહીના પર્વમાં મતદારો પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મતદારોને અપીલ કરતાં જણાવ્યું છે કે, બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે ફરીને કાપલીઓ આપવામાં આવી રહી છે. જે કાપલીમાં મતદારનું મતદાન મથક, ભાગ અને નંબર દર્શાવવામાં આવ્યો છે. મતદાનના દિવસે મતદારે તે કાપલીની સાથે તેમનું ચૂંટણી કાર્ડ અથવા જો ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ અન્ય ૧૨ વૈકલ્પિક દસ્તાવેજો પૈકી કોઈપણ એક ફોટો ઓળખ પત્ર હોવું જરૂરી છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે મતદાનના દિવસે વધુ ગરમી હોય તો પણ મતદારોને લોકશાહીના આ પર્વમાં પોતાનું અચૂક મતદાન કરી તેમનું યોગદાન આપવા અનુરોધ કર્યો છે. પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે, તમામ મતદાન મથકો ખાતે પીવાના પાણીની, બેસવાની સુવિધા, મંડપ, દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા, શૌચાલયની વ્યવસ્થા જેવી જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. તેમણે આણંદ જિલ્લાના મતદારોને અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે, તમે પણ મતદાન કરો, તમારા પરિવારના સભ્યો પણ મતદાન કરે, તમારા પડોશીઓ પણ મતદાન કરે અને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે.

Related posts

Leave a Comment