જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે બાકરોલ ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ 

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયમાં રૂપિયા ૧ કરોડના ખર્ચે તમામ જરૂરી સુવિધાઓ સાથેની સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

 આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લાના સરકારી ગ્રંથાલય ખાતે અંદાજીત ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વાંચવા-ભણવા અર્થે આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયોને અદ્યતન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત આણંદના સરકારી પુસ્તકાલયમાં પણ આધુનિક સુવિધા સાથેની સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ જે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુક્વામાં આવી છે જેનો તમામ વિદ્યાર્થીઓને સરળતાથી લાભ મળી રહેશે. 

 આણંદના બાકરોલ ખાતે આવેલ આ સરકારી જિલ્લા પુસ્તકાલયના ભવનમાં નવનિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીમાં વાંચન અર્થે આવનાર તમામ વયજૂથના વાચકોને અનૂકુળ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. જેમાં મહિલા-પુરૂષ માટે અલગ-અલગ વાંચનરૂમની વ્યવસ્થા, નાના બાળકો માટે મનોરંજન સાથેના બાળરૂમની વ્યવસ્થા, હાઇ-સ્પીડ ઈન્ટરનેટ જોડાણના કોમ્પ્યુટર સાથેના સર્ફિંગ રૂમની સગવડ, વિવિધ ભાષા- સાહિત્યકારો- વિષયો સહિત દરેક વયજૂથના નાગરિકો માટે પુસ્તકોની સુદ્રઢ સુવિધા, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટની વ્યવસ્થા, સ્ત્રીઓ, પુરૂષો અને દિવ્યાંગજનો માટે અલગ અલગ શૌચાલય વ્યવસ્થા, દિવ્યાંગજનોને પુસ્તકાલયમાં આવવા-જવા માટે રેમ્પ વ્યવસ્થા, વયોવૃદ્ધ માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ બેસીને ન્યુઝપેપર વાંચવાની સુવિધા સહિત વિદ્યાર્થીઓ માટે વર્તમાન પ્રવાહની માહિતી આપતી પાક્ષિક-માસિક પત્રિકાઓ સહિત પુસ્તકોની સગવડ ઉપલબ્ધ બનાવાઇ છે.    

  આ સ્માર્ટ લાયબ્રેરીના લોકાર્પણ બાદ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ અને શહીદ સ્મૃતિદિન નિમિત્તે શહીદો પ્રત્યે ઋણ અદા કરવા જિલ્લા કલેક્ટર તથા પુસ્તકાલયમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  

 આ પ્રસંગે રાજ્ય ગ્રંથાલય નિયામક ડૉ. પંકજ ગોસ્વામી, અમદાવાદ વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક ડૉ. અમિતા દવે, સરકારી જિલ્લા ગ્રંથાલય આણંદના ગ્રંથપાલ એમ.ટી.નિસરતા સહિત ગ્રંથાલય ખાતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment