હિન્દ ન્યુઝ, છોટાઉદપુર
જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આગામી ૬ નવેમ્બરના રોજ છોટાઉદેપુરનાસ્વામીનારાયણ હોલ, ફતેહપુરા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત રાજ્ય તથા નિયામક આયુષની કચેરી-ગાંધીનગરના નેતૃત્વ તેમજ જિલ્લા વિકાસ અધિકારી-છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ભરૂચ જિલ્લામાં આગામી ૬ નવેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયુષ મેળામાં આયુર્વેદ આધારિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનારા છે. જેમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા હાજર રહેશે તેમજ અન્ય અતિથી તરીકે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, અભેસીહભાઈ તડવી, જયંતીભાઈ રાઠવા આયુષ મેળામાં જોડાશે.
આ આયુષ મેળા અન્વયે તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર તથા જીવંત પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા-વિરુદ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતું પ્રદર્શન, હોમિયોપેથી સારવાર પદ્ધતિની માહિતી અને પ્રદર્શન, ૦ થી ૧૦ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન, હરસ-મસા-ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, પંચકર્મ સારવાર, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણું હર્બલ ડ્રિંકનું વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવનાર છે.
આ આયુષ મેળાનો વધુને વધુ લાભ લેવા છોટાઉદેપુરની જનતાને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જિલ્લાવાસીઓને જિલ્લા પંચાયતના આયુર્વેદિક અધિકારી, આયુર્વેદ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.