હિન્દ ન્યુઝ, ગારિયાધાર
ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના શિક્ષણવિદ સ્વ.શ્રી આલાભાઇ સાંડસુરની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સ્વાગત અને પરિચય તખુભાઈ સાંડસુરે કરાવ્યો હતો. વેબિનારમાં કોરોના સાથેનું શિક્ષણ તે વિષય પર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશભાઈ પંડ્યાએ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. તેમણે અભ્યાસલક્ષી પ્રવચન આપતાં કોરોના દરમિયાન અને પછીની પરિસ્થિતિનું આકલન કરી વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ બની શકાય તેનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સ્વ.આલાભાઈનો પરિચય ડો.ભાનવા ઠુંમરે કરાવ્યો હતો. સંચાલન સુ પ્રતિમાબેન પટેલે કર્યું. શામજીભાઈ દેસાઈએ ગુજરાત શૈક્ષણિક-સાસંકૃતિક મંચ ની વિધિવત જાહેરાત કરી લોકાર્પણ કર્યું હતું. ગુજરાત કક્ષાની મારી કેળવણી યાત્રા તે વિષયની નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે સુરતના સુ ભામિની કાપડિયા દ્વિતીય ક્રમે વાઘેચા જી. સુરતના જીગ્નેશ ટંડેલ અને તૃતીય ક્રમે મોરબીના દિપાલી આદેશરાને જાહેર કરવામાં આવ્યાં હતાં. આમ, એક સાચા શિક્ષણ યાત્રીનું પૂણ્ય સ્મરણ શિક્ષણના સહપ્રવાસી બનીને કરવામાં આવ્યું હતું.