હિન્દ ન્યુઝ, સુરત
ધઉંના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી દ્વારા ખેડુતોએ તકેદારીના પગલાઓ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ધઉંના પાકમાં મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (કાયસોપલ) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીજમાંથી બનાવેલ અર્ક ૫% (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ. (૫ ઇ.સી.) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.
ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો.
ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
