હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’ અંકનો આસ્વાદ માણ્યો હતો. માહિતી ખાતા દ્વારા રાજ્યના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ઉજાગર કરતો દીપોત્સવી અંક પ્રતિ વર્ષ પ્રકાશિત કરવામાં આવે છે.
આ પરંપરા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજયાદશમીના પર્વે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૧’નું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ દળદાર અંકમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલા કુલ ૨૭ અભ્યાસલેખો, ૩૧ નવલિકાઓ, ૧૭ વિનોદિકાઓ, ૧૧ નાટિકા અને ૯૭ જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી ૫૧ જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સાહિત્યના રસથાળરૂપી આ ગ્રંથના સર્જન માટેની ચીવટ અને સમાવિષ્ટ સામગ્રીની સરાહના પણ કરાઈ હતી.
