હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષાને લોકભોગ્ય બનાવવાના ધ્યેય સાથે તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પાંચ યોજનાઓ લોન્ચ કરવામાં આવેલ છે.
આવો, સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટેની ‘યોજના પંચકમ્’ વિશે જાણીએ.
સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના :
સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના અન્વયે તા.6 થી 13 ઓગસ્ટ, 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અન્ય સંગઠનો દ્વારા સંસ્કૃતમય વાતાવરણ બનાવવાની નેમ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણી દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત વાર્તાલાપ દિન, સંસ્કૃત સાહિત્ય દિન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને રાજ્યમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના :
સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના હેઠળ સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે સંમેલન, પ્રશિક્ષણ વર્ગ, કાર્યશાળા, સંશોધન વગેરે પ્રવૃત્તિઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી-બીન સરકારી સંગઠનો, વિશ્વ વિદ્યાલયો તેમજ અન્ય સંસ્થાઓને નાણાંકીય સહાય આપવામાં આવશે.
સંસ્કૃત પ્રોત્સાહન યોજના :
સંસ્કૃત પ્રોત્સાહન યોજના હેઠળ ધોરણ-10માં તમામ વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તેવી શાળા/સંસ્થાઓને રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર જેવા પ્રોત્સાહન આપવામાં આવશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના :
શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના હેઠળ નાગરિકોને રાષ્ટ્રીય, માનવ અને સાંસ્કૃતિક મૂલ્યોનું જ્ઞાન આપતા ગ્રંથ ભગવદ્ ગીતાથી પરિચિત કરવાના પ્રયાસો હાથ ધરાશે અને કંઠપાઠ માટે પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
શત્ સુભાષિત કંઠ પાઠ યોજના :
શત્ સુભાષિત કંઠ પાઠ યોજના હેઠળ નૈતિક મૂલ્યો પ્રત્યે પ્રેરિત કરે તેવા 100 જેટલા સુભાષિત સમાજમાં ઉત્તમ નાગરિક ઘડતર માટે મુકવામાં આવશે તથા કંઠસ્થ કરનાર નાગરિકનું સન્માન કરવામાં આવશે.
