બાળ-લગ્ન પ્રતિબંધક અધિનિયમ,૨૦૦૬ અંગેની વિસ્તૃત જાણકારી મેળવીએ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. મોટા પ્રમાણમાં વિવિધ સમાજના લગ્ન યોજાતા હોય છે.ત્યારે બાળ લગ્ન અટકાવવાના આશયથી બાળ-લગ્ન પ્રતિબંધક અધિનિયમ,૨૦૦૬ અંગે વિસ્તૃત જાણકારી મેળવીએ.

બાળ-લગ્ન કોને કહેવાય?

જયારે કોઈ બાળકનાં લગ્ન કોઈ બાળકી સાથે થાય અથવા કોઈ પુખ્ત વયની વ્યક્તિ કોઈ બાળક સાથે લગ્ન કરે તો તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. એટલે કે જે લગ્નમાં કોઈપણ એક વ્યક્તિ અથવા બંને વ્યક્તિ બાળ હોય, તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય.

બાળક” કોને કહેવાય?

જે છોકરાએ ૨૧ વર્ષની ઉંમર પુરી કરી ન હોય અને જે છોકરીએ ૧૮ વર્ષની ઉંમર પુરી કરી ન હોય તેઓને “બાળક” કહેવાય.

અપરાધી કોને કહેવાય?

બાળકી સાથે લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ, બાળકનો હવાલો ધરાવનાર માતા-પિતા કે વાલી બાળ લગ્નનું સંચાલન કરનાર અથવા બાળ લગ્ન કરાવનાર અથવા મદદગારી કરનાર અથવા દિશા નિર્દેશ કરનાર, બાળ-લગ્નને પ્રોત્સાહન આપનાર, બાળ-લગ્નને સંમતિ આપનાર, બાળ-લગ્નને નહિ રોકનાર, બાળ-લગ્નમાં હાજરી આપનાર, બાળ-લગ્ન વિધિમાં ભાગ લેનાર. આ કાયદા હેઠળ બાળ-લગ્ન ઉપર મનાઈ ફરમાવતા કોર્ટના હુકમની અવગણનાં કરનાર આ તમામને અપરાધી કહેવાય.

અપરાધીને શું સજા થઈ શકે?

આ કાયદા હેઠળ અપરાધીને બે વર્ષ સુધી સખ્ત કેદની સજા અથવા રૂપિયા એક લાખ સુધી દંડની અથવા બંને સજા થઈ શકે છે.

મહિલા અપરાધીને કેદની સજા થઈ શકે નહિ. આ કાયદા હેઠળ તમામ આપરાધો કોગ્નીઝેબલ અને બીન-જામીનપાત્ર ગુન્હા છે.

બાળ-લગ્નનો ભોગ કોણ બને છે?

જે બાળકના લગન પોતાની મરજીથી અથવા મરજી વગર થતા હોય, તે બાળક અથવા બાળકી બાળ-લગ્નનો ભોગ બને છે.

બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી કોણ છે?

આ કાયદા હેઠળ બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારીની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ અધિકારીને જાહેર સેવક માનવામાં આવે છે. અખાત્રીજ (અક્ષય તૃતિય) જેવા કેટલાંક મહત્વના દિવસોમાં જ્યારે સમુહ લગ્નો યોજાતાં હોય ત્યારે જિલ્લા મેજીસ્ટ્રેટ બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારીની સત્તા ધરાવે છે. રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને, તેમાં જણાવેલ શરતો અને મર્યાદાઓને આધિન રહીને, બાળ-લગ્ન પ્રતિબંધ અધિકારીને પોલીસ અધિકારીની સત્તાઓ પ્રદાન કરી શકે છે.

આ કાયદાનાં અનુસંધાનમાં કરવામાં આવેલ કોઈપણ કૃત્ય બદલ બાળ-લગ્ન પ્રતિબંધક અધિકાર સામે કોઈપણ કાનુની કાર્યવાહી કે ખટલો માંડી શકાશે નહિ.

બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારીની ફરજો :

બાળ-લગ્ન થતાં અટકાવવાના રહેશે, આરોપી સામે પુરાવા એકઠા કરવાના રહેશે, સ્થાનિક વિસ્તારના લોકોને સમજાવવાની તથા સલાહ-સુચનો આપવાની રહેશે, સમાજમાં જાગૃતિ અને સંવેદના કેળવવાની રહેશે, રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલ અન્ય કામગીરી તેમજ ફરજો નિભાવવાની રહેશે.

    ઉપરાંત, બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી બાળકોના ભરણ-પોષણ સંબંધમાં કે તેમનો કબ્જો મેળવવાની બાબતમાં તથા જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલ ફરિયાદની બાબતમાં અદાલતમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી શકાશે.

બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારીને કોણ મદદરૂપ થઈ શકે?

બાળ-લગ્ન અધિકારીને સહાય કરવા માટે રાજ્ય સરકાર નીચે જણાવેલ કોઈપણ વ્યક્તિની નિમણૂંક કરી શકે છે.

* કોઈપણ પ્રતિષ્ઠિત સેવાભાવી વ્યક્તિ 

* ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલટીના અધિકારી સરકારી અધિકારી

* જાહેર ક્ષેત્ર સાહસના અધિકારી અથવા બીન-સરકારી સંસ્થાના સભ્યની નિમણૂંક કરી શકે છે.

બાળ-લગ્નની માઠી અસરો:

સગીર વયની બાળાઓ વધુ પ્રમાણમાં ગર્ભવતી બને છે, અપરિપક્વ સુવાવડનું પ્રમાણ વધે છે. સગીર માતાનાં મૃત્યુનો દર વધે છે. ગર્ભપાત, કસુવાવડ તેમજ મૃત-શીશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શીશુઓમાં માંદગી, અશક્તિ તેમજ મૃત્યુનું પ્રમાણ વધે છે.યૌન-જન્ય રોગો એચ.આઈ.વી/ એઈડ્સ જેવા જીવલેણ રોગોનું જોખમ વધુ છે. મંદબુદ્ધિનાં બાળકોનું પ્રમાણ વધી શકે છે. બાળકની ખાસ કરીને -બાળકીની સ્વતંત્રતા રુંધાઈ જાય છે. સ્ત્રીઓ ઉપર ત્રાસ અને અત્યાચારને વેગ મળે છે. બાળાઓના અનૈતિક દેહવિક્રય અને વૈશ્યાવૃત્તિ વધે છે. શાળાઓમાં અભ્યાસ છોડનાર બાળકોની સંખ્યા વધે છે. બાળકોને ખાસ કરીને બાળાઓને રોજગારીની તકો ઘણી ઓછી ઉપલબ્ધ થાય છે. ખુબ જ નાની ઉંમરે કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારીઓ ઉઠાવવી પડે છે. નાની ઉંમરે ગૃહિણી તરીકે સમગ્ર ઘરકામ કરવું પડે છે. બાળ મજુરીમાં વધારો કરે છે.

શું બાળ-લગ્ન રદબાતલ કરી શકે?

બાળંક પોતે ઈચ્છે તો બાળ-લગ્ન રદબાતલ કરાવી શકે છે.

બાળ-લગ્ન રદબાતલ ઠરાવવાની પ્રક્રિયા:

•જે વ્યક્તિ પોતાના લગ્ન સમયે સગીર હોય તે વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ) ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પોતાના બાળ-લગ્ન રદબાતલ ઠરાવવા અરજી કરી શકે છે.

•અરજી કરતી વખતે જો અરજદાર સગીર હોય તો તે સગીરનો હવાલો સંભાળનાર બાળ-લગ્ન પ્રતિબંધ અધિકારી સાથે રહીને અરજી કરી શકે છે. આવી અરજી પુખ્ત વયના થયા બાદ બે વર્ષની અંદર કોઈપણ સમયે કરી શકાય છે.

લગ્ન શરૂઆતથી રદબાતલ કયારે કહેવાય?

•જ્યારે કોઈ બાળકને બળજબરીપૂર્વક તેના કાયદેસરનાં વાલી પાસેથી ઉઠાવી લેવામાં આવેલ હોય અથવા બળજબરીપૂર્વક અન્ય ખસેડવામાં આવેલ હોય. જ્યારે બાળકને લગ્નના ઉદ્દેશથી વેચવામાં આવેલ હોય અથવા લગ્ન બાદ તેનો દેહવિક્રય કરવામાં આવેલ હોય અથવા તેનો અનૈતિક હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવેલ હોય.

મનાઈ હુકમ વિરુદ્ધ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવેલ હોય.

લગ્ન વિચ્છેદ બાદ શું બાળાને ભરણ પોષણ મેળવવાનો તેમજ રહેઠાણ મેળવવાનો અધિકાર છે? ‘હા’

જયાં સુધી બાળાનું પુનઃલગ્ન ન થાય ત્યાં સુધી ડીસ્ટ્રીક કોર્ટ તેના પતિને ભરણ-પોષણ ચુકવવાનો હુકમ કરી શકે છે. જો પતિ સગીર હોય તો તેના માતા-પિતા / વાલીએ ભરણ પોષણની રકમ ચૂકવવાની રહેશે.

•ડિસ્ટ્રીક કોર્ટ પક્ષકારોને લગ્ન સમયે આપ-લે થયેલ પૈસા, મૂલ્યવાન વસ્તુઓ, દાગીના, જર ઝવેરાત વિગેરે પાછા આપવાનો હુકમ કરી શકે છે. જો અરજદાર સ્ત્રી હોય તો ડીસ્ટ્રીક કોર્ટ તેના પુનઃલગ્ન સુધી તેને રહેઠાણ પુરૂં પાડવાનો પણ હુકમ કરી શકે છે.

બાળ લગ્ન બાદ જન્મેલ બાળકનો હવાલો કોણ સંભાળે? બાળ લગ્નને પરિણામે જન્મેલ બાળક ઔરસ સંતાન ગણાશે?

•બાળકના હિતને ધ્યાનમાં રાખીને ડીસ્ટ્રીકટ કોર્ટ બાળકને કબજો સોંપવા અંગે હુકમ કરશે.

•આવા હુકમમાં સામાવાળી વ્યક્તિ બાળક સાથે હળીમળી શકે તેવા હુકમનો પણ સમાવેશ થઈ શકે.

•વધુમાં કોર્ટ બાળ-લગ્ન કરેલ દંપતિમાંથી કોઈપણ પક્ષકારને અથવા તેમના માતા-પિતા કે વાલીને બાળકનાં ભરણ-પોષણ પુરૂ પાડવાનો હુકમ કરી શકે છે.

બાળ-લગ્ન સંબંધમાં કઈ કોર્ટમાં દાદ-ફરિયાદ કરી શકાય?

બાળ-લગ્ન પ્રતિબંધ અધિનિયમ હેઠળ કોઈપણ રાહત મેળવવા માટે અરજદાર સક્ષમ ડીસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરી શકે જેની સ્થાનિક હકુમતમાં:-

• પ્રતિવાદી અથવા બાળક નિવાસ કરતા હોય, અથવા

• જે વિસ્તારમાં લગ્ન થયું હોય, અથવા

• જે સ્થળે પક્ષકારોએ છેલ્લે વસવાટ કર્યો હોય, અથવા

• અરજી રજૂ કરેલ તારીખે અરજદાર જે વિસ્તારમાં વસવાટ કરતા હોય

     અત્રે નોંધનીય છે કે, આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ભાવનગર તેમજ જિલ્લાના બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી (૦૨૭૮) ૨૪૨૨૦૭૨, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી (૦૨૭૮) ૨૪૨૫૬૦૯ અને ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર-૧૦૯૮ પર સંપર્ક સાધી શકાશે.

Related posts

Leave a Comment