હિન્દ ન્યુઝ, જામનગર
કેન્દ્ર સરકાર દ્વારા “ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-2013” ની કલમ ૭ અને ૯ ની જોગવાઈ મુજબ કોઇપણ વ્યકિત કે સંસ્થા દ્વારા સીધી કે આડકતરી રીતે કોઇપણ વ્યકિતને કે સફાઇ કામદારને ગટર કે ખાળકૂવાની સફાઇ કરવા જોખમી કામે રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને ગટર સફાઇની કામગીરી દરમ્યાન જરૂરી સુરક્ષાના યાંત્રિક સાધનોની મદદથી ગટર સફાઇ કામગીરી કરાવવાની થાય છે.
જામનગર જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવતા તમામ ખાનગી સોસાયટી, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, પેઢીઓ, કારખાનેદારો, હોટેલ, સિનેમાઘરો, લગ્નવાડી, મોલ વગેરે જેવી સંસ્થાઓ કે વ્યકિત દ્વારા ગટર ખાળકૂવાની સાફ સફાઇ દરમિયાન ગેસ ગળતરથી જો કોઇપણ સફાઇ કામદાર/મજુરનું મૃત્યુ થાય તો રૂ.૧૦ લાખનું વળતર ચુકવવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સુપ્રિમ કોર્ટના નવા ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી રૂ.૩૦ લાખનું વળતર ચુકવવાનો આદેશ ફરમાવ્યો છે.
તાજેતરમાં જ ગટર અને ખાળકૂવાની સફાઇ અર્થે હાઇકોર્ટમાં રીટપીટીશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ગટર સફાઇની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી સફાઇ કામદારો/મજુરોના મૃત્યુના બનાવો ન બને તથા અપમૃત્યુ અટકાવવા સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ સરકારી તેમજ પ્રાઇવેટ સેકટર દ્વારા ગટર અને ખાળકૂવાની સફાઇ દરમિયાન સફાઇ કામદારો/મજુરોને તેમા ઉતારવા મનાઇ કરવામાં આવી છે. ઉપરાંત આ પ્રકારની કામગીરીને લઇને જો કોઇ વ્યકિતને ગટર કે ખાળકુવામાં ઉતારવાની ફરજ પાડવામાં આવશે તો તે ગેરકાયદેસર કૃત્ય ગણવામાં આવશે. આ કામગીરી સુરક્ષિત રીતે કરવા માટે સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ સલામતી અને તકેદારીના ભાગરૂપે વિવિધ પ્રકારના સાધનો વિશે જણાવવામાં આવ્યુ છે. છતાં પણ આ પ્રકારની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી સફાઇ કામદાર/મજુરનું મીત નીપજે તો સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રૂ.30 લાખનું ચૂકવણું તેઓના વારસદારઓને કરવા આદેશ કરવામાં આવ્યો છે.
