સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી. 

મુખ્યમંત્રી એ જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી તેમના દ્વારા જે ત્વરિત કાર્યવાહી કરીને લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પુરવઠાની ઉપ્લબ્ધિની વ્યવસ્થા, રાહત રસોડા વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. 

મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી, એમ.કે.દાસ સહિત મહેસૂલ, ઊર્જા, આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ મકાન વગેરે સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૨૭ ઓગસ્ટ સવારના ૧૦ વાગ્યા સુધીની સ્થિતિએ મોસમનો સરેરાશ ૯૯.૬૬ ટકા વરસાદ વરસ્યો છે.

કચ્છ પ્રદેશમાં સરેરાશ ૧૧૬.૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૯.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૧.૫૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૨૦ ટકા અને મધ્ય ગુજરાતમાં ૯૮.૭૪ ટકા વરસાદ થયો છે. 

પાછલા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ૩૪૭ મિ.મી. વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ એવરેજ રેઈનફોલ ૯૪.૨૦ મિ.મી. થયો છે.

આજે મંગળવારે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧૪૨ મિ.મી. વરસાદ પડ્યો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને પરિણામે રાજ્યના ૧૫ નદીઓ તથા ૨૧ તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે તેની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આવા નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તેની સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવી જરૂરી છે. 

લોકો ઓવરફ્લો થયેલી આવી નદીઓના વહેણમાં કે નાળાઓમાં જાય નહિ તે માટે પોલીસની મદદ લઈને સખ્તાઈ વર્તવા મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી.   

રાજ્યના જળાશયોની સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૬ જળાશયોમાં હાલ જળસંગ્રહ ક્ષમતાના ૭૨.૭૩% જેટલું પાણી આવ્યું છે. ૭૬ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, ૯૬ને હાઈએલર્ટ પર તથા ૧૯ને એલર્ટ પર મૂકવામાં આવેલા છે.

રાજ્ય સરકારને  આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી  છે ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન  અને એસ ડી આર એફ ની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનમાં સહાયક બની છે તેની પણ વિગતો આપવામાં આવી હતી. 

આર્મીની 6 કોલમ દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને મોરબી તથા રાજકોટ જિલ્લામાં બચાવ રાહત માટે તૈનાત કરવામાં આવી છે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે. 

પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

અત્યાર સુધીમાં ૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧,૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત છે તે સંજોગોમાં નાગરિકો, પ્રજાજનોને પણ સાવચેતી-સલામતી રાખવા અનુરોધ કર્યો હતો. 

આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સલામત સ્થળે સ્થળાંતરની જરૂરિયાતના સમયે જિલ્લાતંત્રનો સહયોગ કરીએ તે જાનમાલ સલામતી સુરક્ષાના આપણા જ હિતમા છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી.

હવામાન વિભાગે માછીમારોને દરિયો નહિ ખેડવા જે ચેતવણી આપી છે તેના ચુસ્ત પાલન માટે દરિયા કાંઠા વિસ્તારોના જિલ્લા કલેક્ટરોને ખાસ તાકીદ કરી હતી કે, તા. ૩૦/૦૮/૨૦૨૪ સુધી કોઈ માછીમાર ભાઈઓ દરિયામાં જાય નહિ તે કલેક્ટરો સુનિશ્ચિત કરે.

મુખ્યમંત્રી એ ભારે વરસાદને કારણે ગામો-નગરોમાં વીજ પુરવઠાને થયેલી અસરોની પણ વિગતો મેળવી હતી. આ અંગે વિગતો આપતા બેઠકમાં જણાવાયું કે કુલ ૮૮૨૪ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તેમાથી ૭૮૦૬માં સ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. ૬૬૧૫ વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત હતા તેમાંથી ૬૦૩૩નું દુરસ્તી કાર્ય પૂરુ થઈ ગયું છે. 

મુખ્યમંત્રી એ વરસાદને કારણે રાજ્યમાં માર્ગો પર ઝાડ પડી જવા, રસ્તાઓ તૂટી જવા વગેરે કારણોસર રાજ્યમાં કુલ ૮૦૬ જેટલા જે માર્ગો બંધ છે તે માટે વરસાદ અટકે કે તુર્ત જ સત્વરે મરામત કામગીરી ઉપાડી પૂર્વવત વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માર્ગ મકાન વિભાગને તાકીદ કરી હતી. 

તેમણે વરસાદી પાણીના ભરાવાને કારણે રોગચાળો ન ફેલાય તે માટે આ પાણીના નિકાલની વ્યવસ્થા, પાણીનું ક્લોરિનેશન તથા માટી કાંપ વગેરે દૂર કરી સફાઈ માટે અને મચ્છર ઉપદ્રવ અટકાવવા દવા છંટકાવ તેમજ અન્ય આરોગ્ય વિષયક બાબતોમાં પણ જિલ્લાતંત્રોને સજ્જ રહેવા માર્ગદર્શન આપ્યુ હતું. આરોગ્ય વિભાગ આ માટે જિલ્લાઓને જરૂરિયાત મુજબ દવાઓ વગેરે ઉપલબ્ધ કરાવવાનું સંકલન કરે તે અંગે મુખ્યમંત્રીએ સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રી એ જિલ્લા અને શહેરોના વહિવટી તંત્ર દ્વારા પ્રવર્તમાન પરીસ્થિતીમાં કરવામાં આવી રહેલી ત્વરીત કામગીરીની સરાહના કરવા સાથે સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર રહીને ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે આ વરસાદી આફતમાંથી પાર ઉતરવા માર્ગદર્શન આપ્યું હતું. 

મુખ્યસચિવ રાજકુમારે જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને હવામાન વિભાગની વખતો-વખતની આગાહિઓ સામે સતર્ક રહિને પોતાના જિલ્લા-શહેરોમાં વરસાદી સ્થિતીને પહોંચી વળવાના આગોતરા આયોજન માટે સૂચન કર્યુ હતું. 

તેમણે કહ્યુ કે, હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્ય પર વરસાદી આફતનો ખતરો મંડરાયેલો છે ત્યારે સૌ અધિકારીઓ પોતાની જિલ્લા તંત્રની ટીમો સાથે સજ્જ રહે તે જરૂરી છે. 

આ બેઠકમાં એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.  

Related posts

Leave a Comment