રૂ.૮૨૯ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી કુમાર છાત્રાલય આદિપુરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ

આજરોજ ગાંધીધામ તાલુકાના શિણાય મુકામે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપભાઈ પરમારની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં આંબેડકર સરકારી કુમાર છાત્રાલય આદિપુર શિણાયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિણાય ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ગરીમામય ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપસિંહ પરમારે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને શુભેચ્છા સંદેશ આપતાં જણાવ્યું હતું કે આ હોસ્ટેલના નિર્માણ માટે સરકાર દ્વારા રૂ.૮૨૯ લાખની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે તેનાથી અત્યંત આધુનિક બિલ્ડીંગનું નિર્માણ થયું છે.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આપણને આનંદ થાય તેવું ભવ્ય છાત્રાલય બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. શિણાય ગામના આગેવાનો ગ્રામજનોનો અને સરપંચઓનો ખૂબ જ આભાર માનવો જોઈએ. તેઓ દ્વારા પાંચ વીઘા જેટલી કરોડો રૂપિયાની જમીન અનુસૂચિત જાતિના સમાજને શૈક્ષણિક અર્થે આપવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમાજના દીકરાઓ અને દીકરીઓ અભ્યાસ કરીને આગળ વધે તે પ્રધામંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને સમાજના દરેક વ્યક્તિ લાભ લે તે જરૂરી છે. ડૉ. બાબાસાહેબે શિક્ષિત બનવાની જે વાત કરી હતી તેનો સંકલ્પ લઈને પ્રવાહની સાથે આગળ વધીએ. મંત્રી પ્રદીપભાઈ પરમારે જવાબદારી સંભાળ્યા પછી કચ્છ જિલ્લાના દરેક તાલુકા મથકે દીકરા-દીકરીઓ માટે છાત્રાલયોનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર એસસી સમુદાયનો વિકાસ થાય તેના માટે ચિંતિત છે. વિશાળ ભૂપુષ્ઠ ધરાવતા કચ્છ જિલ્લામાં સરકારે દરેક જગ્યાએ સમાજ માટે છાત્રાલય બનાવેલા છે. તે આવનારા સમયમાં આશીર્વાદરૂપ બની રહેશે.

આ પ્રંસગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જણાવ્યું હતું કે, આ છાત્રાલયના લોકાર્પણ સાથે સાથે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓને રહેવા જમવાની ખૂબ આધુનિક સુવિધા મળશે. ગાંધીધામએ શૈક્ષણિક હબ છે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના બાળકો માટે ૨૭ પ્રકારની યોજનાઓ અમલમાં છે. આપણું બાળક પહેલા ધોરણથી માંડીને કોલેજ અને મેડિકલ ક્ષેત્રે અનેક શિષ્યવૃત્તિની યોજનાઓ લાભ લઈ શકે છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનુસૂચિત જાતિના વિકાસ માટે ખભાથી ખભો મેળવીને કામ કરી રહી છે. સમાજ આગળ વધે એ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે. સમાજના દરેક વ્યક્તિ સુધી યોજનાઓનો લાભ મળે તે માટે બધા કાર્ય કરીએ તેવો અનુરોધ પણ ધારાસભ્યએ કર્યો હતો. સમ્રગ કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી એમ.એન.વાઢેર દ્ધારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશીયા, બાંધકામ સમિતિ ચેરમેન જનકસિંહ જાડેજા,જિલ્લા પંચાયત સદસ્ય સર્વ નવીનભાઇ ઝરુ, પ્રકાશભાઈ, શિણાય સરપંચ દીપકભાઈ હડીયા, અંજાર સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાણીબેન આહિર, ભચાઉ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી,ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, નગરપાલિકા ચેરમેન પુનિતભાઇ ધુધરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નિખિલભાઇ હડિયા, અગ્રણી સરવ પંકજભાઇ ઠક્કર, બાબુભાઈ ગોઝારિયા, રામજીભાઇ ધેડા, ડૉ ભાણજીભાઈ સોમૈયા તથા અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક કે.જે. રૂપારેલિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એચ.આર.રાઠોડ .મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સર્વ બળવંતભાઈ ભીલ, આસિફ.એમ.દાંત્રેલીયા, ડી.ડી.આહિર તથા નાયબ નિયામક અ.જાતિ કલ્યાણ ભુજ કચ્છનો સમગ્ર સ્ટાફ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

Leave a Comment