વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંદાજિત રૂ. ૧૦૪૪.૬૯ કરોડનાં ખર્ચે ઢાકીથી નાવડા બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, બોટાદ

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાનાં લોકોને મળતી પાણીની સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂ. ૧૦૪૪.૬૯ કરોડના ખર્ચે ઢાકીથી નાવડા બલ્કપાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ થવા જઇ રહ્યું છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યનાં પ્રત્યેક ખૂણે વસતાં નાગરિકની સુખાકારી અને સાનુકૂળતા માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ત્યારે આ નવાં પ્રોજેક્ટનાં કારણે બોટાદ સહિત સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓનાં લોકોનાં પાણીને લગતાં તમામ પ્રશ્ર્નોનો ઉકેલ મળી જશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત બોટાદ સહિત ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના ૧૮૮૦ ગામો તથા ૫૬ શહેરોને લાભ થશે. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ દ્વારા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર સહિતનાં જીલ્લાઓને બલ્ક પાઈપલાઈનથી પથરાયેલ બી સેકશન અને ડી સેકશન મારફતે નાવડા પંપીગ સ્ટેશનની મદદથી વલ્લભીપુર બ્રાંચ કેનાલ, ઢાંકી પમ્પીંગ સ્ટેશન એન.સી-૨૭ બલ્કપાઈપલાઈન મારફતે અને મહી પરીએજ અને ક્નેવાલ આધારીત એસ.પી.પી-ર બક્સ્પાઇપલાઇનના સ્ત્રોત મારફતે રો – વોટરપુરૂ પાડવામાં આવે છે.

ત્યારે હવે વલભીપુર બ્રાન્ચ કેનાલમાંથી પાણીનુ અવલંબન ઘટાડવા તથા બી અને ડી નેટવર્કમાં સમાવિષ્ટ જિલ્લાઓ ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં ઔદ્યોગિક, ગ્રામીણ અને શહેરી વિસ્તારોની પાણીની માંગ પૂરી કરવા માટે અને કાયમી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વલભીપુર બ્રાન્ચ કેનાલ, હયાત ઢાકીથી નાવડા સુધીની એન.સી ૨૬-૨૭ બલ્ક પાઇપલાઇનને સમાંતર નવીન બલ્ક પાઇપલાઇન ઢાકીથી નાવડા સુધી ૫૦૦ એમ.એલ.ડી ક્ષમતા માટેની ૯૭.૦૦ કિ.મી લાંબી બલ્ક પાઇપલાઇન યોજના નાખવાની જરૂરીયાત ઉભી થતાં રૂ. ૧૦૪૪.૬૯ કરોડનાં ખર્ચે આ યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે.

આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે ત્યારે આ કામ પૂર્ણ થયા બાદ બોટાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ તેમજ જુનાગઢ જીલ્લાનાં ૧૮૮૦ ગામો તથા ૫૬ શહેરોની ભવિષ્યની કુલ ૧૧૦ લાખની વસ્તીને વધારાનાં પીવાનાં પાણીનો લાભ મળી શકશે.

રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Related posts

Leave a Comment