બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનાં માંગ વધી છે – રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે મહત્તમ કનેકટીવિટી પુરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે – નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી

હિન્દ ન્યુઝ,

નાગરિક હવાઈ ઉડ્ડ્યન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનીં માંગ વધી છે. એક સમય હતો કે જ્યારે લોકો માત્ર રેલ કે બસ સેવા પર જ નિર્ભર રહેતા હતા, પણ આજે ઝડપી યુગમાં લોકોની માંગ અને જરૂરિયત વધી છે. સાથે સાથે ઉધ્યોગ-ધંધા વધવાની સાથે વિકાસની ઝડપ પણ વધી છે ત્યારે યાતાયાતની સુવિધામાં હવાઈ સેવાનો ઉપયોગ પણ વધ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા શરૂ કરવામાં આવી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૧મી સદી માસ ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેકનોલોજીની સદી છે. ગામ ગામ વચ્ચે અને શહેર-શહેર વચ્ચે યાતાયાતની સુદ્રઢ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. કોઈપણ શહેર, રાજય અને દેશના વિકાસ માટે સૌપ્રથમ માસ ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ જરૂરી છે. આજે વેપાર ઉદ્યોગ માટે એર કનેક્ટિવિટી અનિવાર્ય બની ચુકી છે. રાજ્યમાં આગામી સમયમાં ૩૫૦ કિ.મિ.ના રૂ ૧,૬૦૦ કરોડના ખર્ચે નવ પ્રગતિપંથવાળા રસ્તાઓનું નિર્માણ કરાનાર છે. પ્રવાસનો અને યાત્રાધામોમાં પણ લોકોની અવરજવર વધી છે ત્યારે ઝડપથી પહોંચવા એર કનિકટીવીટી શ્રેષ્ઠ વિકલ્પ છે. આવનારા દિવસોમાં અમદાવદથી ભુજ અને ભુજ થી અમદાવાદ ઉપરાંત અમદાવાદ રીવરફ્રન્ટથી કેવડીયા અને પરત માટેના આયોજનો છે. આગામી સમયમાં રાજ્યના દરેક તાલુકામાં હેલીપેડ બને તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. છ જેટલા હેલીપોર્ટ પણ બનનાર છે. સાથે સાથે નાની મોટી ૧૫ થી ૧૭ જેટલી એર સ્ટ્રીપ માટે સર્વગ્રાહી આયોજન હાથ ધરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું . અત્રે ઉલ્લેખનીય છે ક, આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડતી સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ. દ્વારા તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરવામાં આવેલા કરાર અનુસાર આ ઝડપી હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. વેન્ચુરા શ્રી ઈશ્વરભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ સેવા અંતર્ગત વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment