હિન્દ ન્યુઝ,
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હસ્તકના પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “Inspired by Nature. For Climate. For Our Future.” થીમ અન્વયે ઉત્સાહભેર કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળા, સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢના ગાયનેકોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચેતનાબેન કોડીનારીયા, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુના પૂર્વ પ્રિન્સિપાલ કે.પી.રાજપૂત, પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ, દીપકભાઈ ભટ્ટ, તાલીમાર્થીઓ તથા ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ વિષયે વ્યાખ્યાન અને ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે. પી. રાજપૂત અને ઇન્સ્ટ્રક્ટરશ્રીઓએ પર્યાવરણના સંરક્ષણ, કુદરતી સંસાધનોના જતન તથા પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળાએ જણાવ્યું હતું કે પર્વતીય અને જંગલ વિસ્તારોમાં પર્યાવરણ જાળવવા માટે સમાજના દરેક વર્ગને જોડાવાની જરૂર છે. ખાસ કરીને યુવાઓએ શારીરિક ફીટનેશની સાથો સાથ સ્વચ્છ હવા માટે વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. આ ઉપરાંત ઉપસ્થિત સૌને ‘એક વ્યક્તિ – એક વૃક્ષ’નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે કાર્યક્રમના સફળ આયોજન બદલ ઉપસ્થિત મહાનુભાવો, તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટરશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
