જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરનો ‘જન-સેવા યજ્ઞ’: અતિ વ્યસ્તતા વચ્ચે પણ એક વર્ષમાં જિલ્લાના ૧૦૦ ગામોની મુલાકાત લઈ લોકપ્રશ્નોનું નિરાકરણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે ગત તા. ૦૧-૦૪-૨૦૨૫ થી ૧૦-૦૨-૨૦૨૬ સુધીના આશરે એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી વ્યસ્તતાની વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપી જિલ્લાના ૧૦૦ જેટલા અંતરિયાળ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. કલેક્ટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના સીધા અમલીકરણનું એક સબળ માધ્યમ બની છે.

આ સમયગાળા દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસણી કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસુલાત અને સરકારી જમીન પરના દબાણો હટાવવા જેવી વહીવટી કામગીરી હાથ ધરી હતી. શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓએ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં બાળકોના શિક્ષણનું સ્તર, અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને ખાસ કરીને મધ્યાહન ભોજનની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરી બાળકોને પોષણક્ષમ આહાર મળે તેવી તકેદારી રાખી હતી. આરોગ્ય ક્ષેત્રે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઓ.પી.ડી., દવાનો જથ્થો અને ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરી ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સારવાર મળે તેવું વાતાવરણ સર્જ્યું હતું.

કલેક્ટરના આ પ્રવાસમાં ‘રાત્રી સભાઓ’ ગ્રામીણ વિકાસ માટેનું અસરકારક માધ્યમ બની રહી હતી. ગામડાઓમાં રાત્રિ રોકાણ અને સભાઓ યોજી તેઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો, વિકાસના કામોની ચર્ચા કરી અને આયુષ્માન કાર્ડ, આવાસ યોજના તથા કૃષિ યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી. ખેડૂતોના હિતમાં તેઓએ ખેતરોની મુલાકાત લઈ પાક, સિંચાઈ અને ખાતરની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી, સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી અન્યોને પણ ઝેરમુક્ત ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.

Related posts

Leave a Comment