હિન્દ ન્યુઝ, અંજાર
કચ્છ કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ તેમજ અંજાર પ્રાંત અધિકારી સૂરેશ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત અંજાર મામલતદાર શ્રીમતી બી.વી.ચાવડા અને તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા વરસામેડી તથા સીનુગ્રા ગામની સીમમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન વરસામેડી સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કોર્મશિયલ દુકાનોના દબાણોને દૂર કરીને અંદાજીત ૨૬૦ ચો.મી સરકારી જમીન જેની અંદાજિત કિંમત રૂ.૫,૬૫,૭૬૦/- છે તે ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જ રીતે સિનુગ્રા ગામની ગામતળની જમીન ઉપર ગેરકાયદેસર બાંધવામાં આવેલા ૨૪૦ ચો.મી દબાણને તોડી પાડવામાં આવ્યું હતું. સિનુગ્રાની સીમની આ કાર્યવાહીમાં અંદાજિત રૂ.૫૪, ૨૪૦/-ની સરકારી જમીનને દબાણમુક્ત કરાવવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસના કર્મચારીઓ જોડાયા હતા અને સરકારી જમીનને દબાણમુક્ત કરાવી હતી તેમ અંજાર મામલતદાર શ્રીમતિ બી.વી.ચાવડા દ્વારા જણાવાયું છે.
