હિન્દ ન્યુઝ, જામનગર
આગામી દિવસોમાં હોળી, ધુળેટી, ચેટીચાંદ અને રમઝાન ઈદ જેવા તહેવારો ઉજવવામાં આવનાર હોય, જેને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તારીખ ૦૫-૦૪-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ.ટાઉનહોલમાં પ્રવેશ કરવો આવી તમામ પ્રવૃતિઓ કરવા પર જાહેરનામામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.
આ જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામરક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહીં.