હિન્દ ન્યુઝ, જામનગર
તાજેતરમાં જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જોડીયા તાલુકાના ઊંડ- 2 નદીના કિનારાના ગામોમાં પાણીના પ્રવાહના લીધે ખેડૂતોના ખેતરમાં નુકશાની સર્જાઇ હતી. આ પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આણંદા, કુન્નડ, ભાદરા, બાદનપર, જોડીયા અને મજોઠ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા પૂર સંરક્ષણાત્મક દીવાલ બનાવવાની કામગીરીથી લઈને કાયમી ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ ન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવશે. જેથી ખેડૂતોને ભવિષ્યમાં નુકસાન વેઠવું ના પડે. જે ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જવાની શક્યતાઓ હોય ત્યાં લગત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે. તેમજ ગામદીઠ સમીક્ષા બેઠકનું નજીકના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત જમીનની માપણી, હદ નિશાની કરાવવી, કાંઠા સંરક્ષણ દીવાલનું નિર્માણ, જમીન સંપાદન કામગીરી તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના ધારા ધોરણો મુજબ સહાય આપવામાં આવશે. જે ગામોમાં નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે.
મંત્રીની આ મુલાકાત દરમિયાન આજુબાજુના ગામના આગેવાનો, પદાધિકારીગણ, સરપંચઓ, અધિકારીગણ, ખેડૂતો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.