ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સમયે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા કેટલાક આવશ્યક પગલાઓ સૂચવવામાં આવ્યાં છે.

આ આવશ્યક પગલાઓ અંતર્ગત બિયારણ/રા. ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. તેમજ કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ-સરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી ને? તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.

ખાસ કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં અને વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું.

તેમજ પાયના ખાતરો જેવાકે ડી.એ.પી, એસ,એસ,પી, એન-પી-કે (૧૨-૩૨-૧૬), એન-પી-કે (૨૦-૨૦-૦૦) ની ખરીદી પણ પીઓએસ મશીન અને લાયસન્સ ધરાવતા અધિકૃત વિક્રેતા પાસેથી આધારકાર્ડ મારફત અને પાકા બીલથી જ કરવી. તેમજ ડુપ્લીકેટ બિયારણ કે ભળતા નામના ખાતરો વેચાતા હોવાનું ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી/ એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા મદદનીશ ખેતી નિયામક અથવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ગીર સોમનાથને તુરંત જાણ કરવી.

Related posts

Leave a Comment