મતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ પ્રવેશી શકશે નહી

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આણંદ જિલ્લામાં તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારો શાંતિથી તેમના મત નોંધાવી શકે અને મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર આણંદ જિલ્લાના વિસ્તારમાં આવેલ દરેક મતદાન મથક/મથકોએ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઇ વ્યક્તિ દ્વારા કેટલાંક કૃત્યો કરવા માટે ચૂંટણી પંચની સૂચના મુજબ કેટલાક હુકમો ફરમાવ્યા છે.

 તદ્દનુસાર રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઇ વ્યક્તિએ કોઈપણ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા નહિ કે તેવી કોશિષ કરવી નહીં.

 મતદાન મથકે એક થી વધુ મતદાન મથકો હોય તેમ છતાં દરેક ઉમેદવાર દીઠ ૨૦૦ મીટરની હદ બહાર ફકત ૧(એક) ટેબલ અને બે ખુરશી સાથેનું અને છાંયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલું) ૧(એક) કેમ્પ બનાવવાનું રહેશે અને બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહિ.

 જે ઉમેદવારને આવા કેમ્પ ઉભા કરવાની ઈચ્છા હશે તેઓએ સંબંધિત ચૂંટણી અધિકારીને તે ક્યા ક્યા મતદાન મથકોએ આવા કેમ્પ ઉભા કરવા માંગે છે તેની યાદી આપી સ્થાનિક સત્તા મંડળ જેમ કે, ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની લેખિત પરવાનગી મેળવવાની રહેશે. આવા કેમ્પનો ઉપયોગ મતદારોને ઉમેદવારના નામ કે પ્રતિક્ર કે પક્ષના નામ વગરની સફેદ કાગળ ઉપર ચૂંટણી પંચે આપેલ સૂચના મુજબની કાપલી આપવા કરી શકાશે. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ અને તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહિં તેમજ કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહીં કે ટોળા ભેગાં કરી શકાશે નહિ.

 આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલ મતદારને ઉભા રહેવા દેશે નહિ. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી થાય તેવું કોઈ કૃત્ય થવા દેશે નહિ તથા ૧૦૦ મીટરની હદમાં સેલ્યુલર ફોન્સ, કોર્ડલેસ ફોન્સ, વાયરલેસ સેટસ લઈ પ્રવેશ કરી શકાશે નહિ.

મતદાર મથકો ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી, સિક્યુરીટીના માણસો, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરઓ તથા મતદાન કેન્દ્રના ઈન્ચાર્જ અધિકારીઓને આ હુકમ અંતર્ગત ફરજ પુરતી છૂટ રહેશે

આ હુકમ તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૭/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

 

Related posts

Leave a Comment